દેશમાં પ્રતિ કલાકે 17 જણનાં મોત, વર્ષમાં ચાર લાખ અકસ્માત

નવી દિલ્હીઃ ત્રીજી ફેબ્રુઆરીની બપોરે સાહિલ દિલ્હીના દ્વારકા સેક્ટર-11ની એક રોડ પર બાઈક ચલાવી રહ્યો હતો. તેની આગળ એક બસ ચાલી રહી હતી. તેણે બસને ઓવરટેક કરવાની કોશિશ કરી, એટલામાં સામે તરફથી તેજ ઝડપે આવી રહેલી સ્કોર્પિયોએ તેને ટક્કર મારી. ટક્કર એટલી જોરદાર હતી કે બાઈકના ટુકડા થઈ ગયા અને તે ત્રણ ભાગમાં વહેંચાઈ ગઈ. સાહિલનું સ્થળ પર જ મોત થયું.

આ કોઈ પહેલી ઘટના નથી. દેશમાં માર્ગ અકસ્માતોનો ઈતિહાસ દુખદ અને ભયાનક રહ્યો છે. નિયમો ભલે કેટલા પણ કડક બનાવવામાં આવે અને સજા કેટલીય કઠોર કરાઈ હોય, પરંતુ બેદરકારીથી વાહન ચલાવવાની વૃત્તિ સંપૂર્ણપણે બંધ થતી નથી અને નિયમોના અમલમાં પણ કડકાઈ દેખાતી નથી. પરિણામે રસ્તાઓ બદલાય છે, નામો બદલાય છે, પરંતુ જાન ગુમાવનારાઓની સંખ્યા વધતી જ રહે છે અને પરિવારો આવી રીતે ઊઝડતા રહે છે.

કેન્દ્ર સરકારના આંકડા દર્શાવે છે કે 2019 અને 2020માં માર્ગ અકસ્માતોમાં મૃત્યુ પામનારાઓની સંખ્યામાં થોડો ઘટાડો નોંધાયો હતો, પરંતુ ત્યાર બાદ સતત એમાં વધારો થયો છે. 2022માં દેશમાં સૌથી વધુ માર્ગ અકસ્માતો નોંધાયા હતા અને તેમાં 11.9 ટકાનો વધારો થયો હતો. સરકારે છેલ્લે 2023માં આંકડા જાહેર કર્યા અને તેમાં પણ અકસ્માતોમાં 4.2 ટકાનો વધારો જોવા મળ્યો હતો. 2023માં કુલ 4,80,583 અકસ્માતો નોંધાયા હતા.

કેન્દ્ર સરકારની વ્યાખ્યા મુજબ જો કોઈ માર્ગ અકસ્માતમાં એકથી વધુ વ્યક્તિનાં મોત થાય તો તેને ભીષણ માર્ગ અકસ્માત (Fatal Accident) કહેવાય છે. 2022માં આવા અકસ્માતોની સંખ્યા 1,55,781 હતી, જે 2023માં વધીને 1,60,509 થઈ ગઈ. એટલે કે સીધા શબ્દોમાં કહીએ તો 3.04 ટકાનો વધારો નોંધાયો છે.

2023 માટેનો એક વધુ ચિંતાજનક આંકડો પણ સામે આવ્યો છે. દેશના કુલ માર્ગ નેટવર્કના આશરે પાંચ ટકા હિસ્સો ધરાવતા હાઇવે પર કુલ અકસ્માતોના 53 ટકા કરતાં વધુ અને કુલ મૃત્યુના 59 ટકા કેસ નોંધાયા છે. એ જ રીતે 2023માં કુલ અકસ્માતોમાંથી 31.2 ટકા અને કુલ મૃત્યુમાંથી 36.5 ટકા કેસ રાષ્ટ્રીય હાઇવેઝ પર નોંધાયા હતા.