નૌતપા આજથી શરૂઃ IMD દ્વારા અનેક રાજ્યો માટે હીટવેવનું એલર્ટ

નવી દિલ્હીઃ 25 મેથી શરૂ થયેલા નૌતપા સાથે દેશના અનેક ભાગોમાં ભયંકર ગરમી અને હીટવેવનું જોખમ વધી ગયું છે. હવામાન વિભાગ એટલે કે IMD એ આગામી એક સપ્તાહ સુધી ઉત્તર ભારત, મધ્ય ભારત અને કેટલાક અન્ય વિસ્તારોમાં લૂ ચાલવાની ચેતવણી આપી છે. દિલ્હી-NCR, ઉત્તર પ્રદેશ, રાજસ્થાન અને મધ્ય પ્રદેશ સૌથી વધુ પ્રભાવિત થઈ શકે છે, જ્યારે દક્ષિણ અને પૂર્વોત્તર ભારતના કેટલાક ભાગોમાં થોડી રાહત મળવાની શક્યતા છે.IMD અનુસાર આ વખતે નૌતપા દરમિયાન અનેક શહેરોમાં તાપમાન 45થી 47 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી શકે છે. ખાસ ચિંતાની બાબત એ છે કે હવે ફક્ત દિવસ જ નહીં, પરંતુ રાત્રિનું તાપમાન પણ સામાન્ય કરતાં વધુ રહેશે. એટલે લોકોને રાત્રે પણ ગરમીથી ખાસ રાહત નહીં મળે.

નૌતપો શું છે અને ગરમી કેમ વધી જાય છે

ભારતીય પરંપરામાં નૌતપા એ તે નવ દિવસનો સમય ગણાય છે જ્યારે સૂર્ય રોહિણી નક્ષત્રમાં પ્રવેશ કરે છે. માનવામાં આવે છે કે આ સમય દરમિયાન વર્ષની સૌથી તીવ્ર ગરમી પડે છે. હવામાન વૈજ્ઞાનિકોના જણાવ્યા મુજબ આ દરમિયાન સૂર્યનાં કિરણો સીધી અસર કરે છે અને ધરતી ઝડપથી ગરમ થાય છે. જોકે આ વખતે હવામાન નિષ્ણાતો ફક્ત પરંપરાગત માન્યતાઓને કારણે નહીં, પરંતુ સતત વધી રહેલી હીટવેવ જેવી પરિસ્થિતિઓને લઈને પણ ચિંતિત છે.

IMD એ સ્પષ્ટ કહ્યું છે કે આગામી છથી સાત દિવસ સુધી ઉત્તર-પશ્ચિમ, મધ્ય અને પૂર્વ ભારતના અનેક વિસ્તારોમાં લૂથી લઈને ગંભીર લૂ જેવી પરિસ્થિતિ બની રહેવાની શક્યતા છે. દિલ્હી, નોઈડા, ગાઝિયાબાદ, ગુરુગ્રામ અને પૂર્વ ઉત્તર પ્રદેશમાં ગરમી લોકો માટે સૌથી વધુ મુશ્કેલી ઊભી કરી શકે છે. હવામાન વિભાગે દિલ્હી-NCR માટે યલો અને કેટલાક વિસ્તારોમાં ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે. લખનૌ, કાનપુર, પ્રયાગરાજ, વારાણસી અને આગ્રા જેવાં શહેરોમાં પણ ગરમ પવનો ફૂંકાવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. બપોરના સમયે બહાર નીકળવું આરોગ્ય માટે જોખમી બની શકે છે.

આગામી સાત દિવસ શું કરવું અને શું ન કરવું

હવામાન વિભાગે લોકોને પૂરતું પાણી પીવા, હળવાં કપડાં પહેરવા અને ખાલી પેટે તડકામાં બહાર ન નીકળવાની સલાહ આપી છે. બહાર નીકળતી વખતે માથું ઢાંકવું અને ORS અથવા લીંબુ પાણી જેવાં પીણાં લેવું ફાયદાકારક બની શકે છે.