માનસિક રોગીઓને વીમાકવચ કેમ નહીં?: સુપ્રીમ કોર્ટની સરકારને નોટિસ

નવી દિલ્હીઃ બોલિવુડ અભિનેતા સુશાંત સિંહ રાજપૂતના અકાળે, ચોંકાવનારા મોત પછી છેડાયેલી ચર્ચાની વચ્ચે સુપ્રીમ કોર્ટે દાખલ થયેલી એક અરજી પર સુનાવણી કરતાં મંગળવારે કેન્દ્ર સરકાર અને વીમા ઉદ્યોગ માટેની નિયામક એજન્સી ઈન્શ્યુરન્સ રેગ્યૂલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટી (IRDA)ને નોટિસ મોકલી છે. માનસિક બીમારીની સારવાર માટે આરોગ્ય વીમાનો વ્યાપ વધારવા માટે પણ બધી વીમા કંપનીઓને નિર્દેશ આપવાની માગ આ અરજીમાં કરવામાં આવી છે. 14 જૂને આત્મહત્યા કરનાર સુશાંત માનસિક તાણ અનુભવતો હતો એવું કહેવાય છે. જસ્ટિસ રોહિન્ટન ફલી નરિમાન, નવીન સિન્હા અને બી.આર. ગવઈની બેન્ચે નોટિસ જારી કરી છે અને કેન્દ્ર અને IRDA પાસે જવાબ માગ્યો છે.

અત્યાર સુધી IRDAનું ઢીલા વલણ

જસ્ટિસ નરિમાન, જસ્ટિસ સિન્હા અને જસ્ટિસ ગવઈની બેન્ચે આ મામલે વિડિયો કોન્ફરન્સિંગના માધ્યમથી સુનાવણી દરમ્યાન આ નોટિસ જારી કરી હતી. બેન્ચે કેન્દ્ર અને IRDAથી અરજીમાં ઉઠાવવામાં આવેલા મુદ્દા પર જવાબ માગ્યો છે. આ અરજી ગૌરવકુમાર બંસલે નોંધાવી છે. ગૌરવ બંસલે દલીલ કરતાં બેન્ચને કહ્યું હતું કે માનસિક સ્વાસ્થ્ય કાનૂન, 2017ની કલમ 21 (4)માં જોગવાઈ છે કે વીમા પોલિસીમાં માનસિક રોગને સામેલ કરવામાં આવે, પણ અત્યાર સુધી IRDAના ઢીલા વલણને કારણે આ જોગવાઈનો અમલ નથી થઈ શક્યો.

માનસિક સ્વાસ્થ્ય કાનૂન, 2017ની જોગવાઈનું પાલન કરવાનો નિર્દેશ

તેમણે કહ્યું હતું કે IRDA માનસિક સ્વાસ્થ્ય કાનૂન, 2017ની કલમ 21 (4) પર અમલ કરવા માટે વીમા કંપનીઓને નિર્દેશ નથી આપી રહી અને એને કારણે માનસિક રોગથી પીડિત વ્યક્તિઓને બહુ હેરાનગતિઓનો સામનો કરવો પડી રહ્યો છે. બંસલે કહ્યું હતું કે કાનૂનમાં સ્પષ્ટ જોગવાઈ છતાં IRDA આના પર કાર્યવાહી કરવા પ્રત્યે ખાસ ઉત્સાહ નથી દાખવી રહી. બંસલનો તર્ક છે કે IRDAની રચના મુખ્ય રૂપથી પોલિસીધારકોનાં હિતોનું રક્ષણ કરવા માટે થયું છે, પણ એવું લાગે છે કે એ તેના લક્ષ્યથી દૂર થઈ ગઈ છે.

માનસિક સ્વાસ્થ્ય કાનૂન, 2017ની જોગવાઈનું પાલન કરવાનો નિર્દેશ

બંસલે અરજીમાં કહ્યું છે કે માનસિક સ્વાસ્થય કાનૂન, 2017માં જોગવાઈ છે કે વીમાકર્તા નિર્દેશ છે કે કોઈ વ્યક્તિ માનસિક રોગથી પીડિત હોય એ કારણસર તે એની સાથે ભેદભાદ નહીં કરે અને સંસદ દ્વારા બનાવવામાં આવેલા કાયદામાં મેડિકલ વીમાને મામલે મનોરોગીઓની સાથે અન્ય લોકોની જેમ જ વર્તણૂક કરવામાં આવશે. આ અરજીમાં કહેવામાં આવ્યું છે કે આ કાયદો બન્યા પછી IRDAએ 16 ઓગસ્ટ, 2018એ બધી વીમા કંપનીઓને એક સરક્યુલર જારી કર્યો હતો, જેમાં માનસિક સ્વાસ્થ્ય કાનૂન, 2017ની જોગવાઈનું પાલન કરવાનો નિર્દેશ આપવામાં આવ્યો હતો.

જૈસે થે સ્થિતિ

બંસલે કહ્યું હતું કે 16 ઓક્ટોબર, 2018ના સરક્યુલરનું પરિણામ જાણવા માટે તેમણે 10 જાન્યુઆરી, 2019એ માહિતી અધિકાર કાયદાની કલમ 6 હેઠળ એક અરજી દાખલ કરી હતી. તેમણે કહ્યું હતું કે આ અરજીના જવાબમાં છ ફેબ્રુઆરી, 2019એ IRDAએ જાણ કરી હતી કે આ સંબંધમાં અત્યાર સુધી 16 ઓગસ્ટ, 2018ના આદેશ પર અમલ નથી કરવામાં આવ્યો. આ અરજી અનુસાર એક વર્ષ વીત્યા છતાં માનસિક સ્વાસ્થ્ય કાનૂન, 2017ની કલમ 21 (4) વિશે જે સ્થિતિ હતી, એ સ્થિતિ હાલ છે અને વીમા કંપનીઓ પર લગામ કસવાને બદલે IRDAએ તેમને મદદગાર સાબિત થઈ રહી છે.