પુતિન વર્ષાંતે ભારતના પ્રવાસે આવશેઃ મોદીના આમંત્રણનો સ્વીકાર કર્યો

નવી દિલ્હીઃ રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પૂતિન આ વર્ષના અંત સુધીમાં ભારતના પ્રવાસે આવે એવી ધારણા છે. પ્રાપ્ત વિગતો અનુસાર, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભારત આવવા માટે આપેલા આમંત્રણનો પુતિને સ્વીકાર કર્યો છે. હાલ મોસ્કો ગયેલા સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે કહ્યું હતું કે, વડાપ્રધાન મોદીના આમંત્રણને માન આપીને પુતિન આ વર્ષના અંત સુધીમાં ભારત આવે એવી ધારણા છે. રાજનાથ સિંહ હાલ રશિયાના ત્રણ દિવસીય પ્રવાસે ગયા છે. તેમણે કહ્યું કે, કોરોના વાયરસ સંકટના સમયમાં કોઈ ભારતીય પ્રતિનિધિમંડળનો આ પ્રથમ મોસ્કો પ્રવાસ છે. જે આવા સમયે આ બંન્ને દેશ વચ્ચેના મજબૂત સંબંધો તરફ ઈશારો કરે છે. રાજનાથ સિંહે કહ્યું કે, હું બીજા વિશ્વયુદ્ધ દરમિયાન માર્યા ગયેલા સૈનિકોને શ્રદ્ધાંજલિ આપું છું, ભારતના પણ લાખો સૈનિકોએ તે વિશ્વ યુદ્ધમાં ભાગ લીધો હતો જેમાં આપણા જવાનો પણ શહીદ થયા હતા.

આ દરમિયાન તેમણે કહ્યું કે, તેમને રશિયન નેતૃત્વ તરફથી આશ્વસ્ત કરવામાં આવ્યા છે કે, કોરોના સંકટના પ્રભાવની વચ્ચે પણ સૈન્ય સંસાધનોના ચાલી રહેતા તમામ કોન્ટ્રાક્ટ કોઈપણ પ્રકારના વિલંબ વગર આગળ વધશે અને ઝડપી પૂરા થશે. રક્ષામંત્રીએ કહ્યું કે, અમારી ચર્ચા ખૂબ પોઝિટિવ રહી છે. મને ખાતરી આપવામાં આવી છે કે, હાલના કરારોને યથાવત્ રાખવામાં આવશે અને તેને ઝડપથી પૂરા કરવામાં આવશે. અમારી તમામ ઓફરોને રશિયા તરફથી સકારાત્મક પ્રતિસાદ મળ્યો છે.