કોરોના છતાં હરિદ્વારમાં કુંભ મેળો સમયસર યોજાશે

દહેરાદૂનઃ ઉત્તરાખંડના મુખ્ય પ્રધાન ત્રિવેન્દ્ર સિંહ રાવતે રવિવારે કહ્યું હતું કે 2021માં યોજનારો હરિદ્વાર કુંભ મેળો દિવ્ય અને ભવ્ય હશે. આ કુંભ મેળામાં પરંપરા અને સંસ્કૃતિનું પૂરેપૂરું ધ્યાન રાખવામાં આવશે. અખિલ ભારતીય અખાડા પરિષદના પદાધિકારીઓની સાથે આગામી વર્ષે 14 જાન્યુઆરીથી શરૂ થનારા કુંભ મેળાને લઈને થયેલી બેઠક પછી તેમણે ટ્વીટ પણ કર્યું હતું.

કુંભ મેળા-2021ના સ્વરૂપ વિશે અખાડા પરિષદના પૂજ્ય સંત-મહાત્માના માર્ગદર્શનમાં કોવિડ-19ની એ સમયની પરિસ્થિતિ અનુસાર નિર્ણય લેવામાં આવશે. આ બેઠકમાં અધિકારીઓને કુંભ મેળાની તૈયારીઓને સમયમર્યાદામાં પૂરી કરવાના મુખ્ય પ્રધાને નિર્દેશ આપ્યા હતા.

કુંભ મેળાનું મોટા ભાગનું કામ 15 ડિસેમ્બર સુધી પૂરું કરી લેવામાં આવશે. કુંભ મેળા માટે નવ ઘાટો બનાવવામાં આવી રહ્યા છે, આઠ પૂલો અને રસ્તાનું કામ પૂરું થવાનું છે. હાલ કોરોના રોગચાળા દરમ્યાન સ્વચ્છતા પર સૌથી વધુ ધ્યાન આપવામાં આવી રહ્યું છે. આ સિવાય પીવાનું પાણી, પાર્કિંગ અને અતિક્રમણ દૂર કરવાનું કામ થઈ રહ્યું છે, એમ અધિકારી દીપક રાવતે કહ્યું હતું.

આ મેળા દરમ્યાન શ્રદ્ધાળુઓને કોઈ પણ પ્રકારની સમસ્યા ના થાય, એટલે બધા પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી રહી છે. કુંભ મેળામાં દૈનિક ધોરણે 35થી 50 લાખ લોકો સ્નાન કરશે, એવી શક્યતા છે, એમ રાજ્યના શહેરી વિકાસપ્રધાન મદન કૌશિકે કહ્યું હતું. બીજી બાજુ, અખિલ ભારતીય અખાડા પરિષદના પ્રમુખ મહંત નરેન્દ્ર ગિરિએ રાજ્ય સરકારને આશ્વાસન આપ્યું છે કે તેઓ સરકારને સંપૂર્ણ સાથ-સહકાર આપશે.