ઉત્તર પ્રદેશ માર્ચ-2022 સુધી કોરોનાગ્રસ્ત રાજ્ય ઘોષિત

લખનઉઃ ભારતમાં નવા ઓમિક્રોન વેરિઅન્ટ અને કોરોનાવાઈરસના કેસોએ હાહાકાર મચાવી દીધો છે. ઉત્તર પ્રદેશને 2022ના માર્ચ મહિના સુધી કોરોના-ગ્રસ્ત રાજ્ય તરીકે ઘોષિત કરવામાં આવ્યું છે. રાજ્યના અધિક મુખ્ય સચિવ (આરોગ્ય) અમિત મોહન પ્રસાદે પરિસ્થિતિનું મૂલ્યાંકન કર્યા બાદ આ વિશેનો ઓર્ડર ઈસ્યૂ કર્યો છે. એમણે કહ્યું છે કે ઉત્તર પ્રદેશ જન આરોગ્ય અને રોગચાળા નિયંત્રણ કાયદા-2020ની કલમ-3 અંતર્ગત સમગ્ર રાજ્ય કોવિડ19-ગ્રસ્ત ઘોષિત થયેલું રહેશે.

રાજ્યના ગવર્નર આનંદીબહેન પટેલે પણ આ જ પ્રકારની જાહેરાત કરી છે અને કહ્યું છે કે ઉત્તર પ્રદેશ રાજ્ય 2022ની 31 માર્ચ સુધી અથવા વધુ આદેશ આપવામાં ન આવે ત્યાં સુધી કોરોનાગ્રસ્ત ઘોષિત અવસ્થામાં રહેશે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોવિડ-19ના નવા 80 કેસ નોંધાયા હતા. આ જ સમયગાળા દરમિયાન 11 જણ આ વાઈરસથી સાજા થયા છે.