IT વિભાગે કોંગ્રેસને રૂ. 1823 કરોડની નવી નોટિસ મોકલી

નવી દિલ્હીઃ લોકસભા ચૂંટણીની ઠીક પહેલાં ઇન્કમ ટેક્સ વિભાગે ટેક્સ રિટર્નમાં કથિત વિસંગતિઓ માટે રૂ. 1823.08 કરોડની ચુકવણીની નવી નોટિસ જારી કરી છે. પાર્ટીના મહા સચિવ જયરામ રમેશે દાવો કર્યો છે કે લોકસભા ચૂંટણી પહેલાં કર આતંકવાદી (ટેક્સ ટેરરિઝમ) દ્વારા વિપક્ષ પર હુમલા કરવામાં આવી રહ્યા છે. તાજા નોટિસ એસેસમેન્ટ યર 2017-18થી 2020-21 માટે છે, એમાં દંડ અને વ્યાજ –બંને સામેલ છે.

પાર્ટીના ખજાનચી અજય માકને આરોપ લગાવ્યો હતો કો જે માપદંડોને આધારે કોંગ્રેસ પર દંડની નોટિસ આપવામાં આવી છે. એને આધારે ભાજપથી રૂ.4600 કરોડથી વધુની ચુકવણીની માગ કરવી જોઈએ. તેમણે કહ્યું હતું કે ગઈ કાલે અમને આવકવેરા વિભાગથી રૂ. 1823.08 કરોડની ચુકવણી કરવા માટે નવી નોટિસ મળી છે. આવકવેરા વિભાગે અમારા બેન્ક ખાતાથી જબરજસ્તી રૂ. 135 કરોડ કાઢી લીધા છે. તેમણે દાવો કર્યો હતો કે કોંગ્રેસને આર્થિક રીતે અપંગ બનાવવામાં આવી રહી છે. ચૂંટણીથી પહેલાં સમાન તકની સ્થિતિને ખતમ કરવા માટે આ બધું કરવામાં આવી રહ્યું છે.

આવકવેરા અધિકારીઓ દ્વારા રૂ. 210 કરોડનો દંડ ફટકારવા અને બેન્ક ખાતાઓને ફ્રીઝ કરવાને કારણે કોંગ્રેસ પહેલેથી જ નાણાંની તંગીનો સામનો કરી રહી છે.

પાર્ટીને આ મામલે હાઇ કોર્ટમાંથી પણ કોઈ રાહત નથી મળી અને પાર્ટી ટૂંક સમયમાં સુપ્રીમ કોર્ટમાં ધા નાખશે. પાર્ટીએ ભાજપ પર 19 એપ્રિલથી શરૂ થતી લોકસભાની ચૂંટણી પહેલાં એને આર્થિક રીતે અપંગ બનાવવા અને પાર્ટી વિરુદ્ધ કર અધિકારીઓનો ઉપયોગ કરવાનો આરોપ તેમણે લગાડ્યો હતો.