રૂપાલાના નિવેદનનો વિવાદ વકર્યોઃ કોર્ટમાં બદનક્ષીની અરજી

રાજકોટઃ શાબ્દિક ટિપ્પણીને લઈને રૂપાલાની મુશ્કેલીમાં વધારો થયો છે. રાજ્યમાં રાજપૂતો અને ક્ષત્રિય સમાજે પરસોlમ રૂપાલાના નિવેદન સામે બાંયો ચડાવી છે. તેમના નિવેદનને કારણે વિવાદ વકરી રહ્યો  રહ્યો છે. હવે કોંગ્રેસ નેતા અને ક્ષત્રિય અગ્રણી આદિત્યસિંહ ગોહિલે પરસોત્તમ રૂપાલા સામે કોર્ટમાં બદનક્ષીની અરજી કરી છે.

રાજકોટ બેઠક પર ભાજપના ઉમેદવાર પર પરસોતમ રૂપાલાના નિવેદન બાદ ક્ષત્રિય સમાજમાં ભારે રોષ જોવા મળ્યો છે. ક્ષત્રિય સમાજે ભાજપને ચીમકી પણ આપી છે કે જો રાજકોટમાં ઉમેદવાર નહીં બદલાય તો અમે પરસોતમ રૂપાલા સામે મતદાન કરીશું અને અમે પરિણામ બદલવાની પણ હિંમત રાખીએ છીએ. જેથી રાજકોટમાં રૂપાલાના ઘરે સુરક્ષા આપવામાં આવી છે. ઘર પાસે પાંચ પોલીસ જવાનોનો બંદોબસ્ત ગોઠવાયો હતો.

કોંગ્રેસના નેતા અને રાજવી પરિવારના અગ્રણી આદિત્યસિંહ ગોહેલે જણાવ્યું હતું કે, પરષોત્તમ રૂપાલાનો એક વિડિયો વાયરલ થયો હતો. એ સાંભળીને મને ખૂબ દુઃખ થયું હતું. મેં કોર્ટમાં ફરિયાદ દાખલ કરી છે. મારું નિવેદન લેવામાં આવ્યું છે. 15 તારીખે સાક્ષીઓ સાથે ઉપસ્થિતિ રહેવાનું કહેવામાં આવ્યું છે. આખો સમાજ એક જૂથ થઈને આ મુદ્દે લડવા માગે છે. પરષોત્તમ રૂપાલાએ અમારા સમાજનું અપમાન કર્યું છે. યુવાનો પણ આ અંગે રોષે ભરાયેલા છે.

રાજકોટ લોકસભાના ભાજપના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલા સામે કોર્ટમાં ફરિયાદ કરવામાં આવી છે. ક્ષત્રિય સમાજ વિશે ટિપ્પણી કરવા મુદ્દે ક્ષત્રિય સમાજ આગેવાન આદિત્યસિંહ ગોહિલ દ્વારા રૂપાલા સામે IPC કલમ 499 અને 500 મુજબ બદનક્ષી અંગે ફરિયાદ નોંધાવી છે.

આ ફરિયાદ અંગે કોર્ટ દ્વારા બે સાક્ષીઓની તપાસ કરવા 15 એપ્રિલની મુદ્દત પણ રાખી છે. આ વિવાદ પૂર્ણ કરવા ભાજપના મોવડીમંડળની કવાયત શરૂ થઈ ગઈ છે અને ગોંડલના ક્ષત્રિય આગેવાન જયરાજસિંહ જાડેજાને મધ્યસ્થી કરાવી ક્ષત્રિય સમાજના આગેવાનોને સમજાવી મુદ્દાની પતાવટ કરવા પ્રયત્નો ચાલુ છે, પરંતુ આગેવાનો માનવાના મૂડમાં જરાય નથી.

 

 

 

,