હાઇકોર્ટે જૂના રાજેન્દ્રનગરના કોચિંગ દુર્ઘટનાની તપાસ CBIને સોંપી

નવી દિલ્હીઃ હાઈકોર્ટે દિલ્હીના ઓલ્ડ રાજેન્દ્રનગરમાં એક કોચિંગ સેન્ટરના બેઝમેન્ટમાં ડૂબવાથી થયેલા વિદ્યાર્થોના મોત અંગે પોલીસને ફટકાર લગાવી હતી. આ કેસ સંદર્ભે હાઇકોર્ટમાં MCD કમિશનર અને DCP હાજર થયા હતા. જસ્ટિસ મનમોહનની અધ્યક્ષતા હેઠળ ખંડપીઠે આ કેસ હવે CBIને સોંપી દીધો હતો.

હાઇકોર્ટે જૂના રાજેન્દ્ર નગરમાં કોચિંગ સેન્ટરના ભોંયરામાં ડૂબી જવાથી વિદ્યાર્થીઓના મોતને લઈને પોલીસને સખત ઠપકો આપ્યો હતો. હાઈકોર્ટે આ મામલે પોલીસ દ્વારા અત્યાર સુધી કરવામાં આવેલી તપાસ પર સવાલો ઉઠાવ્યા હતા. કાર્યકારી મુખ્ય ન્યાયાધીશ મનમોહનની આગેવાની હેઠળની બેંચ જૂના રાજેન્દ્ર નગરમાં કોચિંગ સેન્ટરના ભોંયરામાં ત્રણ વિદ્યાર્થીઓના મૃત્યુ બાબતે ઉચ્ચ સ્તરીય તપાસની માગ કરતી અરજી પર સુનાવણી કરી રહી હતી. આ સુનાવણી દરમિયાન કોર્ટે પોલીસને ફટકાર લગાવતાં તેમના વકીલને કહ્યું હતું કે સારું છે કે તમે ભોંયરામાં વરસાદી પાણી ઘૂસવા બદલ ચલણ જારી નથી કર્યું.’

દિલ્હી હાઈકોર્ટે વિદ્યાર્થીઓના મોત મામલે પોલીસ દ્વારા એક SUV ડ્રાઈવરની ધરપકડની આલોચના કરી હતી. એના ઉપર વરસાદી પાણીથી ભરેલા રસ્તા પર પૂરઝડપે વાહન ચલાવવાનો આરોપ હતો. આ વાહન પસાર થતાં પાણીનું પ્રેશર થવાથી દરવાજા તૂટી ગયા હતા. જેને કારણે બિલ્ડિંગના ભોંયરામાં પાણી ભરાઈ ગયા હતા.

પોલીસ દ્વારા તેની વિરુદ્ધ બદઈરાદાથી હત્યાનો આરોપ હટાવ્યા બાદ ડ્રાઇવર મનુજ કથુરિયાને ગુરુવારે જામીન પર મુક્ત કરવામાં આવ્યો હતો. જ્યારે કોર્ટે પૂછ્યું હતું કે શું તમને ખબર છે કે બિલ્ડિંગ પ્લાનને મંજૂરી કોણે આપી હતી, તો પોલીસે કહ્યું હતું કે તપાસ ચાલુ છે. આ જવાબ સાંભળીને હાઈકોર્ટે કહ્યું હતું કે તમે એવી રીતે વાત કરો કે જાણે તમારી પાસે કોઈ સત્તા નથી. તમે પોલીસ છો. તમને બધું જ મળશે. તમે MCD ઓફિસમાં જઈને ફાઇલો જપ્ત કરી શકો છો. શું તમને એ સમજાવવું પડશે કે આ કેવી રીતે કરવાનું છે. શું તમને લાગે છે કે કોઈ ગુનેગાર તમારી સામે આવીને પોતાનો ગુનો કબૂલ કરશે?’