કેન્દ્ર સરકારે યુરિયાના ડિલરોના માર્જિનમાં સુધારો કર્યો

નવી દિલ્હી– કેન્દ્ર સરકારે ખાનગી સંસ્થાઓ અને સંસ્થાગત એજન્સીઓ એમ બંને માટે યુરિયાનાં ડિલરોનાં મેટ્રિક ટનદીઠ માર્જિનમાં સુધારો કરી રૂ.354 કર્યું છે, જે 01 એપ્રિલ, 2018થી લાગુ થશે.

ભારત સરકારે યુરિયાનાં વેચાણ માટે તમામ ડિલર્સ/વિતરકોનું માર્જિન સુધારીને મેટ્રિક ટન દીઠ રૂ.354 કરવા મંજૂરી આપી છે, જેની ચુકવણી તમામ ડિલર્સ/વિતરકોને એકસમાન રીતે થશે. સુધારેલા દર 01 એપ્રિલ, 2018થી લાગુ પડશે. ડિલરોનું આ માર્જિન પીઓએસ ઉપકરણ મારફતે વેચાતાં યુરિયાનાં પ્રમાણ પર જ ચુકવવામાં આવશે.

18 જૂન, 1999નાં જાહેરનામા મુજબ, અત્યારે ખાનગી સંસ્થાઓ અને સહકારી સંસ્થાઓને યુરિયાનાં વેચાણ માટે વિતરણ/ડિલર માર્જિન ચુકવવામાં આવે છે, જે ખાનગી વેપાર મારફતે વેચાણ બદલ મેટ્રિક ટનદીઠ રૂ.180/- અને સંસ્થાગત એજન્સીઓ મારફતે થતાં વેચાણ બદલ મેટ્રિક ટન દીઠ રૂ. 200/- ચુકવવવામાં આવે છે. સરકારના ખાતરનાં ક્ષેત્રમાં પ્રત્યક્ષ લાભ હસ્તાંતરણ (ડીબીટી)નાં નિર્ણયને પરિણામે વિતરણ/ડિલર માર્જિન માટેની માગ ડિલર્સ અને ખાતર કંપનીઓ દ્વારા સતત ઉઠાવવામાં આવી હતી, જેથી ડીબીટીનાં અમલ પછી ડિલર્સની નાણાકીય વ્યવહારિકતા સુનિશ્ચિત થઈ છે.

સમગ્ર દેશમાં આશરે 23,000 ડિલર્સ/વિતરકોને નિર્ણય દ્વારા લાભ થશે એવી સંભાવના છે, જે ડીબીટીનાં અમલ પછી નાણાકીય વ્યવહારિકતા વધારશે. આ પગલાને લીધે સરકાર પર વાર્ષિક રૂ.515.16 કરોડનું સબસિડી વધારાનું ભારણ વધશે.