અયોધ્યામાં સુરક્ષા કર્મચારીનું શંકાસ્પદ મોત..

અયોધ્યમાં સ્થિત રામ મંદિરમાં એક ચોકાવનારી ઘટના સામે આવી છે. રામ મંદિરની સુરક્ષામાં તહેનાત સ્પેશિયલ સિક્યોરિટી ફોર્સના એક જવાનનું શંકાસ્પદ પરિસ્થિતિઓમાં ગોળી વાગવાથી મોત થઈ ગયું છે. મળતી માહિતી અનુસાર આ ગોળી કેવી રીતે વાગી તે વિષય તપાસના ધમધમાટ ચાલી રહ્યા છે. સૂચના મળતાં જ આઈજી-એસએસપી સહિત અનેક ઉચ્ચ પોલીસ અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા.

પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો છે. ઉલ્લેખનીય છે શંકાસ્પદ રીત મૃત્યુ પામેલ જુવાન આંબેડકર નગરનો રહેવાસી હતો. બુધવારે વહેલી સવારે અચાનક જ ગોળીબારના અવાજથી રામ જન્મભૂમિ પરિસરમાં ખળભળાટ મચી ગયો છે. જવાનનું નામ શત્રુઘ્ન વિશ્વકર્મા હતું. તેમની ઉંમર લગભગ 25 વર્ષ હોવાની માહિતી મળી રહી છે. ગોળી લાગ્યા બાદ સાથી સુરક્ષા કર્મચારીઓ દ્વારા જવાનને તાત્કાલીક હોસ્પિટલ ખસેડવામાં આવ્યો. ત્યાંથી ઘાયલ જવાનને ટ્રોમા સેન્ટરમાં રિફર કરવામાં આવ્યો હતો જ્યાં ડોક્ટરોએ તેમને મૃત જાહેર કર્યો.

અયોધ્યાના આઈજી અને એસએસપી સહિત તમામ વરિષ્ઠ પોલીસ અધિકારીઓ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. ફોરેન્સિક ટીમે ઘટના સ્થળે તપાસ કરી હતી. ઘટના પહેલા તે મોબાઈલ જોઈ રહ્યો હતો. પોલીસે શત્રુઘ્નનો મોબાઈલ પણ તપાસ માટે મોકલી આપ્યો છે. સૂત્રો પાસેથી મળેલી માહિતી પ્રમાણે જવાન પહેલાથી જ ડિપ્રેશનમાં હતો જેના કારણે આત્મહત્યાનો મામલો સામે આવી રહ્યો છે. જો કે, અધિકારીઓ પરિસરના CCTV ફૂટેજ અને નજીકમાં તહેનાત સૈનિકોની પણ પૂછપરછ કરી રહ્યા છે.