પુણેમાં ‘લોકમાન્ય તિલક પુરસ્કાર’ સમારંભમાં વિપક્ષ પર મોદીનો કટાક્ષ

પુણેઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદીને આજે અહીં તિલક સ્મારક મંદિર ટ્રસ્ટ વતી 1983માં સ્થાપવામાં આવેલા ‘લોકમાન્ય તિલક રાષ્ટ્રીય પુરસ્કાર’થી સમ્માનિત કરવામાં આવ્યા હતા. એવોર્ડ સ્વીકાર્યા બાદ પોતાના સંબોધનમાં મોદીએ કહ્યું કે, ‘લોકમાન્ય તિલકના નામે સ્થપાયેલો પુરસ્કાર પ્રાપ્ત કરતા હું ગૌરવની લાગણીનો અનુભવ કરું છું. લોકમાન્ય તિલક અખબારી સ્વાતંત્ર્યના મહત્ત્વને સમજતા હતા. એમણે ભારતની આઝાદીની લડાઈના માર્ગને બદલી દીધો હતો. બ્રિટિશરોએ એમને ભારતીય જુવાળ (ક્રાંતિ)ના જનક ગણાવ્યા હતા. ભારતની આઝાદીની લડાઈમાં લોકમાન્ય તિલક મોખરે રહ્યા હતા.’

મોદી એમના સંબોધનમાં દેશના વિરોધપક્ષોને ટોણો મારવાનું ચૂક્યા નહોતા. એમણે કહ્યું, ‘એકબીજા પર ભરોસો રાખવાથી આપણે મજબૂત બનીએ છીએ, પરંતુ આજે જ્યારે દેશમાં કેટલાક સ્થળોને આપવામાં આવેલા વિદેશી આક્રમણખોરોના નામોને બદલવામાં આવે છે એમાં કેટલાક લોકો અસ્વસ્થ થઈ જાય છે.’ મોદીએ કોરોનાવાઈરસ રોગચાળા સામે દેશે આદરેલા જંગમાં પુણે શહેરે આપેલા યોગદાનની મોદીએ પ્રશંસા કરી હતી.

આ કાર્યક્રમ વખતે મંચ પર રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (એનસીપી)ના પ્રમુખ શરદ પવાર પણ ઉપસ્થિત હતા. એમણે કહ્યું, ભારતમાં પહેલો સર્જિકલ હુમલો છત્રપતિ શિવાજી મહારાજના સમયગાળામાં થયો હતો. દેશે બે યુગ જોયા છેઃ એક, તિલકનો અને બીજો મહાત્મા ગાંધીનો.