મહારાષ્ટ્રમાં 4 ઓક્ટોબરથી શાળાઓ ફરી શરૂ થશે

મુંબઈઃ મહારાષ્ટ્ર સરકારે આજે જાહેરાત કરી છે કે રાજ્યમાં શાળાઓ આવતી 4 ઓક્ટોબરથી ફરી શરૂ કરવામાં આવશે. ગ્રામીણ વિસ્તારોમાં તમામ શાળાઓમાં ધોરણ 5-12ના વર્ગો પ્રત્યક્ષ રીતે શરૂ કરવામાં આવશે જ્યારે શહેરી વિસ્તારોમાં 8-12 ધોરણના વર્ગો ફરી શરૂ કરાશે. રાજ્યનાં શિક્ષણ પ્રધાન વર્ષા ગાયકવાડે આ જાહેરાત કરી છે.

ગાયકવાડે જોકે કહ્યું છે કે શાળાઓને સંપૂર્ણપણે કોરોનાવાઈરસ નિયંત્રણ નિયમો અને ગાઈડલાઈન્સના કડક પાલનની શરતે જ ફરી શરૂ કરવા દેવામાં આવશે. આ નિયમો અને ગાઈડલાઈન્સ સ્કૂલ શિક્ષણ વિભાગે પીડિયાટ્રિક ટાસ્ક ફોર્સ સાથે મસલત કરીને તૈયાર કર્યાં છે. શાળાઓમાં ખેલકૂદ-રમતોની પરવાનગી અપાશે નહીં. વળી, નિવાસી શાળાઓને પણ શરૂ કરવા દેવામાં નહીં આવે. આજનો નિર્ણય માત્ર રેગ્યૂલર શાળાઓને જ લાગુ છે.

શાળાઓમાં વિદ્યાર્થીઓની હાજરી ફરજિયાત નહીં હોય અને બાળકને શાળામાં ભણવા મોકલવા માટે એનાં માતા-પિતા/વાલીની સંમત્તિ આવશ્યક રહેશે. વિદ્યાર્થીઓની સંખ્યાને આધારે વર્ગોને વૈકલ્પિક દિવસે યોજી શકાશે. વળી, જો દરેક શાળામાં એક આઈસોલેશન સેન્ટર રાખવું પડશે જેથી કોઈ વિદ્યાર્થી કોરોના પોઝિટીવ હોવાનું માલૂમ પડે તો એને તેમાં રાખી શકાય. શાળામાં સ્વચ્છતા રાખવાનું અને પર્યાપ્ત સામાજિક અંતર રાખવાના નિયમનું પાલન ફરજિયાત રહેશે. શિક્ષકો અને શિક્ષકેતર કર્મચારીઓએ કોરોના-પ્રતિરોધક રસીના બંને ડોઝ લીધા હોવા જોઈએ.