છત્તીસગઢમાં રેવડી રાજકારણઃ કોંગ્રેસ સાથે વધુ એક રાજ્યમાં ખેલ?

રાયપુરઃ છત્તીસગઢ ચૂંટણીમાં આમ આદમી પાર્ટી પૂરી તાકાતથી ઊતરશે. આપના સંયોજક અરવિંદ કેજરીવાલે પાંચ મહિનામાં ત્રીજી વાત રાજ્યની મુલાકાત લીધી છે. દિલ્હી, પંજાબ પછી અરવિંદ કેજરીવાલે છત્તીસગઢની જનતાને કેટલીય ગેરન્ટીઓનું એલાન કર્યું છે. તેમણે ભાર દઈને કહ્યું છે કે જો તેમને એક વાર સેવા કરવાની તક મળશે તો જનતા બધી પાર્ટીઓને ભૂલી જશે.

કેજરીવાલે રાયપુરમાં એક જનસભા સંબોધિત કરી હતી, જેમાં તેમણે કુલ 10 ગેરન્ટીઓનું એલાન કર્યું હતું.કેજરીવાલે 10 ગેરન્ટીઓમાં 300 યુનિટ સુધી મફત વીજ, સરકારી હોસ્પિટલોમાં મફત સારવાર, દરેક જગ્યાએ મોહલ્લા ક્લિનિક, બેરોજગારોને રૂ. 3000નું ભથ્થું, વડીલોને મફત તીર્થ યાત્રા, 18 વર્ષથી વધુ વયની મહિલાઓને પ્રતિ મહિને રૂ. 1000 આપવાની વાત કરી હતી. હવે આ બધાં ચૂંટણી વચનો તેમણે પંજાબ અને ગુજરાતમાં પણ કરી હતી.

આમ આદમી પાર્ટીએ જે રાજ્યોમાં ઝડપથી વિસ્તાર કર્યો છે, ત્યાં કોંગ્રેસ વિરુદ્ધ ભાજપ વચ્ચે સીધી ટક્કર છે. વળી, આપ પાર્ટીએ ભાજપ કરતાં કોંગ્રેસનું વધુ નુકસાન કર્યું છે. આ રાજકીય નુકસાન એટલું મોટું છે કે કોંગ્રેસે દિલ્હી, પંજાબમાં સત્તા ગુમાવી છે. આપ પાર્ટીની અને કોંગ્રેસની મતબેન્કમાં સમાનતા છે. બેને પાર્ટીઓ મુસલમાનો અને ગરીબો અને બ્રાહ્મણ પર વધુ ધ્યાન કેન્દ્રિત કરે છે.હવે જેકોઈ રાજ્યોમાં આપ પાર્ટી ચૂંટણી મેદાનમાં ઊતરે છે, એનાથી ભાજપ કરતાં વધુ નુકસાન કોંગ્રેસને થાય છે. જોકે છત્તીસગઢમાં પાછલી વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસે ઐતિહાસિક દેખાવ કર્યો હતો.