બધા ભ્રષ્ટ નેતાઓની સામે કાર્યવાહી કરવાની રાજનાથ સિંહની ચીમકી

બેલાગવીઃ કર્ણાટકની ચૂંટણીમાં એક જનસભાને સંબોધિત કરતા સંરક્ષણપ્રધાન રાજનાથ સિંહે ચેતવણી જારી કરતાં કહ્યું હતું કે ભાજપ સરકાર બધા ભ્રષ્ટ નેતાઓની તપાસ કરશે, પછી ભલે તેમનું રાજકીય કદ કેટલું પણ મોટું હોય. તેમણે ધારવાડમાં એક જનસભા સંબોધતા કહ્યું હતું કે ભ્રષ્ટાચાર પર કાર્યવાહી થઈ રહી છે અને મોટા નેતાઓ જેલમાં જઈ રહ્યા છે અને તેઓ (વિરોધ પક્ષ) દાવો કરે છે કે એ તપાસ જાણીબૂજીને કરી રહી છે. સરકાર બધા ભ્રષ્ટ નેતાઓની તપાસ કરશે, પછી ભલે તે કોઈ પણ ચમરબંધી હોય.

કોંગ્રેસ પર નિશાન સાધતાં તેમણે આરોપ લગાવ્યો હતો કે મુખ્ય વિરોધ પક્ષ સત્તામાં આવતાં ધર્મનું રાજકારણ રમે છે. તેમણે ચાર ટકા મુસ્લિમ અનામતની પણ ટીકા કરતાં કહ્યું હતું કે એ માત્ર મુસલમાનોને ખુશ કરવા માટે આપવામાં આવી હતી. બેલગાવી જિલ્લાના કાગવાડમાં એક અન્ય જનસભાને સંબોધિત કરતાં તેમણે કહ્યું હતું કે દેશના ઇતિહાસમાં જોકોઈ રાજકીય પક્ષે સત્તામાં આવવા માટે ધર્મનો સહારો લીધો હોય તો એ કોંગ્રેસ છે.

ગૃહપ્રધાન અમિત શાહે કોંગ્રેસ પર નિશાન સાધતાં કહ્યું હતું કે જો કોંગ્રેસ સત્તામાં આવશે તે દક્ષિણ રાજ્યમાં રમખાણો થશે. જો કોંગ્રેસ સત્તા પર આવશે તો રાજ્યનો વિકાસ રિવર્સ ગિયરમાં થશે, એમ તેમણે કહ્યું હતું. બીજી બાજુ, કોંગ્રેસ પ્રવકતાએ શાહ પર પલટવાર કરતાં કહ્યું હતું કે આ એક ડરાવનારું નિવેદન છે.