સર્જિકલ સ્ટ્રાઇકમાં તમારી ભૂમિકા પર ગર્વ છેઃ PM મોદી

નવી દિલ્હીઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદી જમ્મુ-કાશ્મીરમાં રાજૌરી જિલ્લાના નૌશેરા ક્ષેત્રમાં નિયંત્રણ રેખાની પાસે તહેનાત જવાનોની સાથે દિવાળી ઊજવવા પહોંચ્યા છે. તેમણે કહ્યું હતું કે તેમણે પ્રત્યેક દિવાળી જવાનોની સાથે ઊજવી છે. હું તમારા માટે દેશના આશીર્વાદ લઈને આવ્યો છું. તમારા વિશ્વાસે જનતા શાંતિથી સૂઈ શકે છે. નૌશેરા કશ્મીર અને શ્રીનગરનું પહેરેદાર છે. તમે મા ભારતીના સુરક્ષા કવચ છો. નૌશેરાનો ઇતિહાસ સેનાની વીરતાનો જયઘોષ છે. નૌશેરામાં પ્રત્યેક યુદ્ધનો દરેક ષડયંત્રનો જવાબ સેનાએ વીરતાથી આપ્યો છે. નૌશેરાના જવાનોના શૌર્યની સામે બધાં કાવતરાં નિષ્ફળ છે.

ભારતીય સેનાની શક્તિ શું હોય છે, એનો અહેસાસ દુશ્મનને પ્રારંભના દિવસોમાં મળી ગયો હતો. સર્જિકલ સ્ટ્રાઇકમાં અહીંની બ્રિગ્રેડે જે ભૂમિકા નિભાવી-એનાથી દરેક દેશવાસીને ગૌરવ છે. એ સમયે હું દરેક ક્ષણે ફોનની રિંગ પર નજર રાખીને બેઠો હતો. અમારા જવાન પહોંચ્યા કે નહીં. અમારા જવાનો વગર નુકસાને મિશન પૂરું કરીને આવ્યા હતા. સર્જિકલ સ્ટ્રાઇક પછી ષડયંત્રો થતાં રહ્યાં છે, પણ સૈનિકોએ જડબાતોડ જવાબ આપ્યો હતો.

તેમણે કહ્યું હતું કે સર્જિકલ સ્ટ્રાઇક પછી પડોશી દેશે જમ્મુ-કાશ્મીરમાં શાંતિ ભંગ કરવા માટે કેટલાય પ્રયાસ કર્યા, પણ સુરક્ષા દળોએ મનોબળ ઊંચું રાખ્યું અને બધા પ્રયાસોનો જડબાતોડ જવાબ આપ્યો. તેમણે કહ્યું હતું કે આઝાદીનાં 75 વર્ષ પૂરાં થવાં પર જ્યાં દેશ આઝાદીનો અમૃત મહોત્સવ ઊજવી રહ્યો છે, ત્યારે સરકાર સામે નવા લક્ષ્ય અને નવા પડકારો છે.