મહાકુંભમાં અફવા ફેલાવનાર સોશિયલ મીડિયા એકાઉન્ટ પર પોલીસની કાર્યવાહી

પ્રયાગરાજ: મહાકુંભ 2025માં અત્યાસ સુધીમાં 50 કરોડથી વધુ લોકોએ અમૃત સ્નાનનો લ્હાવો લીધો છે. મહાકુંભનો લ્હાવો લેવા માટે માનવ મહેરામણ ઉભરાયું છે. શ્રદ્ધાળુઓ 144 વર્ષે યોજાનારા મહાકુંભમાં અનેરા ઉત્સાહથી ભાગ લઈ રહ્યા છે. જોકે કેટલાક લોકો મહાકુંભને બદનામ કરવાનો પ્રયાસ કરતા રહે છે, જેની સામે ઉત્તર પ્રદેશ પોલીસે મોટી કાર્યવાહી કરી છે. પોલીસે ભ્રામક અને ખોટા વીડિયો પોસ્ટ કરી અફવા ફેલાવનારા 54 સોશિયલ મીડિયા એકાઉન્ટ વિરુદ્ધ FIR દાખલ કરી છે.

પ્રાપ્ત માહિતી પ્રમાણે પોલીસ તપાસમાં એવી ચોંકાવનારી વાત સામે આવી છે કે, મહાકુંભને બદનામ કરવા માટે કેટલાક એકાઉન્ટમાંથી એવા વીડિયો પોસ્ટ કરવામાં આવ્યા છે, જેને ભારત સાથે દૂર દૂર સુધી કોઈ લેવાદેવા નથી. થોડા દિવસો પહેલા મહાકુંભમાં એક સ્થળે આગ લાગી હતી, જેના વાયરલ થયેલા વીડિયોની હકીકત પણ સામે આવી છે. પોલીસે મહાકુંભમાં લાગેલી આગના વીડિયોની તપાસ કરતા તે વીડિયો ઈજિપ્તમાં લાગેલી આગના હોવાનું સામે આવ્યું છે. આ મામલે પાંચ ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ, એક એક એકાઉન્ટ અને એક યૂટ્યૂબ ચેનલ વિરુદ્ધ કાર્યવાહી કરાઈ છે. એટલું જ નહીં પટણાના વીડિયોને મહાકુંભ દેખાડનારા સાત ફેસબુક અને આઠ એક્સ એકાઉન્ટ વિરુદ્ધ FIR નોંધવામાં આવી છે. ઉત્તર પ્રદેશ પોલીસ અગાઉ પણ ભ્રામક પોસ્ટ કરનારાઓ વિરુદ્ધ કાર્યવાહી કરી ચુકી છે. અત્યાર સુધીમાં 54 સોશિયલ મીડિયા એકાઉન્ટ વિરુદ્ધ એફઆઈઆર નોંધવામાં આવી છે. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથના આદેશ બાદ યુપી પોલીસ સોશિયલ મીડિયા એકાઉન્ટ પર કડક નજર રાખી રહી છે. ડીજીપીએ તમામને અપીલ કરી છે કે, ફેક વીડિયો અને ખોટા અહેવાલો પોસ્ટ અને શેર ન કરે.