‘વિશ્વ રેડિયો દિવસ’ નિમિત્તે લોકોને PMની શુભેચ્છા

નવી દિલ્હીઃ સંયુક્ત રાષ્ટ્ર (યૂએન) સંસ્થાની પેટા-સંસ્થા યૂનેસ્કોના ઉપક્રમે 2011ની સાલથી દર વર્ષની 13 ફેબ્રુઆરીનો દિવસ દુનિયાભરમાં ‘વર્લ્ડ રેડિયો ડે’ તરીકે ઉજવવામાં આવે છે. એક સમયના લોકપ્રિય માધ્યમ રેડિયોને બિરદાવવા માટે આ પ્રકારનો ઉજવણી દિવસ નક્કી કરાયો છે. આ વર્ષના ‘વર્લ્ડ રેડિયો ડે’નો થીમ છેઃ ‘રેડિયો અને શાંતિ’.

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વીટ કરીને ‘વિશ્વ રેડિયો દિવસ’ નિમિત્તે રેડિયો સાંભળતા તમામ લોકો, રેડિયો જોકીઓ તથા બ્રોડકાસ્ટિંગ ઈકો-સિસ્ટમ સાથે સંકળાયેલા તમામ લોકો માટે શુભેચ્છા વ્યક્ત કરી છે અને કહ્યું છે કે, ‘આશા રાખીએ કે રેડિયો માધ્યમ અવનવા કાર્યક્રમો મારફત અને માનવ સર્જનાત્મક્તાને પ્રદર્શિત કરાવીને લોકોનાં જીવનમાં કાયમ ઉજાસ પથરાવતો રહેશે.’ વડા પ્રધાને આવતી 26 ફેબ્રુઆરીએ નિર્ધારિત એમના માસિક મન કી બાત પ્રસારણની 98મી આવૃત્તિ માટે સૂચનો આપવા કે માહિતી શેર કરવાનું પણ નાગરિકોને કહ્યું છે.