ભારતમાં ડિજિટલ પેમેન્ટને વધુ સુરક્ષિત અને વિશ્વસનીય બનાવવા માટે નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (NPCI) દ્વારા યુપીઆઈ ટ્રાન્ઝેક્શન માટે નવા નિયમો જાહેર કરવામાં આવ્યા છે. આ નિયમો 30 જૂન, 2025થી અમલમાં આવશે, જે યુપીઆઈ ટ્રાન્ઝેક્શનની પ્રક્રિયાને બદલી નાખશે. આ ફેરફારોનો મુખ્ય ઉદ્દેશ યુઝર્સને ઓનલાઈન છેતરપિંડીથી બચાવવાનો છે, જેથી ડિજિટલ ચુકવણીઓ વધુ સુરક્ષિત બને.
આ નવા નિયમ હેઠળ, યુપીઆઈ ટ્રાન્ઝેક્શન દરમિયાન હવે ફોનમાં સેવ કરેલું નામ નહીં, પરંતુ બેન્કમાં નોંધાયેલું રજિસ્ટર્ડ નામ જ દેખાશે. અગાઉ, સ્કેમર્સ નકલી નામો અને ફોટોનો ઉપયોગ કરીને છેતરપિંડી કરતા હતા, જેનાથી ખોટા ખાતામાં પૈસા ટ્રાન્સફર થવાનું જોખમ રહેતું. હવે ટ્રાન્ઝેક્શન પહેલાં યુપીઆઈ એપ રિસીવરનું બેન્કમાં નોંધાયેલું નામ આપોઆપ બતાવશે, જેથી યુઝર્સ યોગ્ય વ્યક્તિ કે ખાતામાં પેમેન્ટ કરી રહ્યા છે તેની ખાતરી કરી શકશે. આ નિયમ પર્સન-ટૂ-પર્સન (P2P) અને પર્સન-ટૂ-મર્ચન્ટ (P2M) બંને પ્રકારના ટ્રાન્ઝેક્શન માટે લાગુ થશે, જેમાં દુકાનદારો, કેફે કે અન્ય સેવાઓ માટેની ચુકવણીનો સમાવેશ થાય છે.
આ નવી સિસ્ટમથી યુઝર્સને ફ્રોડથી બચાવવામાં મદદ મળશે, કારણ કે રિસીવરનું વાસ્તવિક નામ દેખાશે, જેનાથી નકલી ખાતાઓની ઓળખ થઈ શકશે. NPCIએ યુઝર્સને સલાહ આપી છે કે, ટ્રાન્ઝેક્શન પહેલાં એપ પર દર્શાવેલ નામ ધ્યાનથી તપાસવું અને અજાણ્યા QR કોડ સ્કેન ન કરવા. જો કોઈ સમસ્યા ઊભી થાય, તો તુરંત બેન્ક અથવા યુપીઆઈ એપની હેલ્પલાઈનનો સંપર્ક કરવો જોઈએ. આ ફેરફારો ડિજિટલ પેમેન્ટની વિશ્વસનીયતા અને સુરક્ષામાં નોંધપાત્ર વધારો કરશે.
