બહારના નમાઝી તાજ મહેલમાં નમાજ અદા નહીં કરી શકે: સુપ્રીમ કોર્ટ

નવી દિલ્હી- વિશ્વની સાત અજાયબીઓ પૈકી એક અને પ્રેમની નિશાની એવા તાજ મહેલમાં હવે બહારના નમાઝીઓ નમાજ અદા નહીં કરી શકે. આ અંગે ચુકાદો આપતા આજે સુપ્રીમ કોર્ટે જણાવ્યું કે, તાજ મહેલ વિશ્વની અજાયબી છે. અહીં નમાજ અદા કરી શકાશે નહીં. નમાઝ કોઈ અન્ય સ્થળ ઉપર પણ અદા કરી શકાય. જોકે સ્થાનિક નમાઝીઓ અહીં નમાજ અદા કરી શકશે.આપને જણાવી દઈએ કે, સ્થાનિક નમાઝીઓ દ્વારા એક અરજી દાખલ કરવામાં આવી હતી, જેમાં તેમણે માગણી કરી હતી કે, તેમની સાથે બહારના નમાઝીઓને પણ તાજ મહેલમાં નમાજ અદા કરવાની પરવાનગી આપવામાં આવે. ઉલ્લેખનીય છે કે, તાજ મહેલમાં દર શુક્રવારે જુમ્માની નમાજ અદા કરવામાં આવે છે. જેને લઈને કેટલાક વિભાગો દ્વારા ઘણી વખત વિરોધ પણ વ્યક્ત કરવામાં આવ્યો છે.

ગત વર્ષે અનેક વખત આ માગણી કરવામાં આવી હતી કે, તાજ મહલમાં નમાજ બંધ કરવામાં આવે અથવા શિવ ચાલીસાનું વાંચન કરવાની પરવાનગી આપવામાં આવે. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની ઈતિહાસ વિંગ અખિલ ભારતીય ઈતિહાસ સંકલન સમિતિએ માગ કરી હતી કે, તાજ મહલમાં શુક્રવારની નમાજ પર રોક લગાવવામાં આવે.

આપને જણાવી દઈએ કે, ભારતીય જનતા પાર્ટીના નેતાઓ દ્વારા અનેક વખત એવું નિવેદન આપવામાં આવ્યું છે જેમાં તાજ મહલને શિવ મંદિર તરીકે ગણાવવામાં આવ્યું છે. ઉપરાંત અનેક લોકો આ જગ્યાને તેજોમહાલય તરીકે પણ ઓળખાવે છે.