ભારત-મ્યાનમારની વચ્ચે મુક્ત આવ-જા હવે નહીં: ગૃહપ્રધાન

નવી દિલ્હીઃ કેન્દ્ર સરકારે ભારત અને મ્યાનમાર વચ્ચે મુક્ત આવા-જાને નાબૂદ કરી દીધી છે. મુક્ત આવ-જા વ્યવસ્થા આંતરરાષ્ટ્રીય સરહદની બંને બાજુએ રહેતા લોકોને વિઝા વિના એકબીજાના પ્રદેશના 16 કિલોમીટરની અંદર મુસાફરી કરવાની મંજૂરી આપે છે. ગૃહપ્રધાન અમિત શાહે X  પર કહ્યું હતું કે વડા પ્રધાન મોદીએ સંકલ્પ કર્યો છે કે આપણી સરહદો સુરક્ષિત હોવી જોઈએ. તેથી ગૃહ મંત્રાલયે નિર્ણય લીધો છે કે દેશની આંતરિક સુરક્ષા સુનિશ્ચિત કરવા અને ઉત્તર-પૂર્વીય રાજ્યોની વસ્તી વિષયક માળખું જાળવવા માટે આ સિસ્ટમને નાબૂદ કરવામાં આવશે.

આ નિર્ણય ગૃહપ્રધાન અમિત શાહના નિવેદનના બે દિવસ પછી આવ્યો છે જેમાં તેમણે કહ્યું હતું કે ભારત મ્યાનમાર સાથેની 1643 કિલોમીટર લાંબી સરહદ પર વાડ કરશે અને સુરક્ષા દળો માટે પેટ્રોલિંગ ટ્રેક પણ બનાવવામાં આવશે.

મણિપુરમાં કુકીઓ (જેમને મ્યાનમારના ચિન રાજ્યના સમુદાયો સાથે વંશીય સંબંધો છે) અને બહુમતી મૈતઈ વચ્ચે વંશીય હિંસાની ઘટનાઓ પછી આ જાહેરાત કરવામાં આવી છે. સરહદ પર વાડ લગાવવી એ ઇમ્ફાલ ખીણના મૈતઇ જૂથોની વારંવાર માગ છે, જેઓ આરોપ લગાવતા રહ્યા છે કે આદિવાસી આતંકવાદીઓ વારંવાર ખુલ્લી સરહદ દ્વારા ભારતમાં પ્રવેશ કરે છે. આ  જૂથો એવો પણ આક્ષેપ કરે છે કે વાડ વિનાની આંતરરાષ્ટ્રીય સરહદનો લાભ લઈને ભારતમાં ડ્રગ્સની દાણચોરી કરવામાં આવી રહી છે.​​​​​​​

ભારતનાં ચાર રાજ્ય- અરુણાચલ પ્રદેશ, નાગાલેન્ડ, મણિપુર અને મિઝોરમ- મ્યાનમારની સાથે 1643 કિલોમીટર લાંબી સરહદ શેર કરે છે. ફેબ્રુઆરી, 2021માં મ્યાનમારમાં સૈન્ય તખતાપલટની પછી એના 31,000થી વધુ લોકોએ મિઝોરમમાં શરણ લીધું છે.