નિર્ભયાના દોષિતોની ફાંસી હજી ટળે તેવી શક્યતાઃ વિનયના વકીલે કરી દયા અરજી

નવી દિલ્હીઃ નિર્ભયાના હત્યારાઓની ફાંસી ફરી ટળે તેવી શક્યતાઓ છે. ફાંસીની સજાથી બચવા માટે ચાર ગુનેગારોમાંથી એક વિનયે હવે નવો દાવ રમ્યો છે. વિનયના વકીલ એપી સિંહે દયા અરજી દાખલ કરી દીધી છે. બુધવારે રાષ્ટ્રપતિની પાસે દયા અરજી દાખલ કરવામાં આવી છે. વિનયની ક્યૂરેટિવ અરજી સુપ્રીમ કોર્ટ નકારી ચુક્યું છે.

તો અક્ષય અને પવનની પાસે ક્યૂરેટિવ અરજીનો વિકલ્પ પણ છે. ક્યૂરેટિવ અરજી રદ્દ થયા બાદ દયા અરજી અને તે પણ રદ્દ થયા બાદ તેને પડકારવાનો વિકલ્પ પણ તેની પાસે છે. વિનયની દયા અરજી રદ્દ થયા બાદ મુકેશની જેમ તે પણ પડકાર અરજી દાખલ કરી શકે છે. તેવામાં હવે લગભગ નક્કી છે કે 1 ફેબ્રુઆરીએ તેની લાઇફ લાઇન થોડી વધી જશે.

સુપ્રીમ કોર્ટે બુધવારે નિર્ભયા મામલાના એક દોષી મુકેશની અરજી રદ્દ કરી દીધી છે. તેણે રાષ્ટ્રપતિ દ્વારા તેની દયા અરજી રદ્દ કરવા માટે ન્યાયિક સમીક્ષાની માગ કરી હતી. વર્ષ 2012માં દિલ્હીમાં સામૂહિક દુષ્કર્મ અને હત્યાના મામલામાં ચાર દોષીતોને ત્રણ દિવસ બાદ ફાંસી આપવાની છે.

ન્યાયમૂર્તિ આર. ભાનુમતિ, અશોક ભૂષણ અને એ.એ. બોપન્નાની સદસ્યતા વાળી પીઠે કહ્યું કે, આ મામલા સંબંધિત તમામ મામલા રાષ્ટ્રપતિની સમક્ષ રજૂ કરવામાં આવ્યા હતા અને ત્યારબાદ તેમણે (મુકેશની) દયા અરજી પર નિર્ણય લીધો હતો.

કોર્ટે કહ્યું કે, જેલમાં ગુનેગારને કથિત ખરાબ વ્યવહાર અને ક્રૂરતાને આધાર માનીને દયા ન આપી શકાય. મુકેશના વકીલની તે દલીલને પણ કોર્ટે નકારી, જેમાં તેમણે કહ્યું હતું કે, રાષ્ટ્રપતિએ દયા અરજી પર ઉતાવળમાં નિર્ણય લીધો. કોર્ટે કહ્યું, ‘રાષ્ટ્રપતિએ ઉતાવડમાં નિર્મય લઈ લીધો તો તેને મતલબ નથી કે તેમણે કંઇપણ વિચાર્યા વિના આ નિર્ણય લીધો છે.’