દેશભરમાં હવાઈ સેવા આજથી શરૂઃ આકાશમાં લોકડાઉન ખતમ

નવી દિલ્હીઃ દેશમાં લોકડાઉનની વચ્ચે બસ, ટ્રેન સેવા શરૂ થયા પછી હવે આજથી સ્થાનિક હવાઈ સેવા પણ શરૂ થઈ ગઈ છે. આશરે બે મહિના સુધી હવાઈ સેવા બંધ રહ્યા પછી ઘરેલુ વિમાનોનું સંચાલન દેશભરમાં આજથી શરૂ થયું છે. દિલ્હી એરપોર્ટ પર ભારે સંખ્યામાં લોકો જોવા મળ્યા હતા. આમાં ફ્લાઇટ પકડવા માટે સ્ટુડન્ટ્સ, નોકરિયાતો અને પ્રવાસીઓ સામેલ હતા. આ દરમ્યાન લોકોની થર્મલ તપાસ કરવામાં આવી રહી હતી અને ફ્લાઇટની અંદર કર્મચારીઓ PPE સુટ પહેરેલા નજરે ચઢ્યા હતા. દિલ્હીના ઇન્દિરા ગાંધી ઇન્ટરનેશનલ એરપોર્ટ પર 4.45 કલાકે પુણે માટે સૌથી પહેલી ફ્લાઇટ રવાના થઈ હતી અને 7.45 કલાકે પહેલી ફ્લાઇટ આવવાની હતી. આંધ્ર પ્રદેશ અને પશ્ચિમ બંગાળ સિવાય દેશભરમાં મોડી રાતથી એરપોર્ટ પર પ્રવાસીઓનું આવાગમન શરૂ થઈ ગયું છે. આ દરમ્યાન પ્રવાસીઓ ઉત્સાહિત તો દેખાયા પણ કોરોનાને લઈને તેમના મનમાં ડર પણ દેખાઈ રહ્યો હતો. સિવિલ એવિયેશન મંત્રાલયે જૂનમાં આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સ શરૂ કરવા માટે પણ સંકેત આપ્યા હતા.
દિલ્હી એરપોર્ટની તમામ તૈયારી

દિલ્હી એરપોર્ટે પર તમામ તૈયારીઓ કરી લીધી હતી. એરપોર્ટ પર રવિવારે રાતથી જ પ્રવાસીઓ ઊમચવા લાગ્યા હતા. સોશિયલ ડિસ્ટન્સિંગ માટે એરપોર્ટની સિક્યોરિટી તહેનાત કરવામાં આવી હતી. બધા પ્રવાસીઓ માસ્ક પહેરેલા નજરે ચઢતા હતા.

એરપોર્ટ પરથી સેનેટાઇઝર PPE કિટ્સ અને માસ્ક ખરીદી શકાશે

એરપોર્ટ પર પ્રવાસીઓને બેસવાની વ્યવસ્થામાં ખુરશીઓમાં એક સીટ છોડીને બેસવાની વ્યવસ્થા કરવામાં આવી છે. પ્રવાસીઓ માટે સેનિટાઇઝર, PPE કિટ્સ, માસ્ક્સ પણ ખરીદવાની વ્યવસ્થા કરવામાં આવી હતી.

પહેલા તબક્કામાં 2800 ફ્લાઇટ્સને ઉડાડવા માટે આયોજન કરવામાં આવ્યું છે. એરપોર્ટ પર આશરે 380 ફ્લાઇટ્સનું સંચાલન હાથ ધરાશે. એરપોર્ટથી આશરે 190 ફ્લાઇટસ રવાના થશે અને આશરે 190 ફ્લાઇટ્સ ઊતરશે. દેશમાં 24 માર્ચથી એર ટ્રાફિક પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો.

મિશન વંદે ભારત પર કોઈ અસર નહીં પડે

વિદેશોમાં ફસાયેલા ભારતીયોને લાવવા માટે ચાલી રહેલા મિશન વંદે ભારત ચાલતું રહેશે. T-1 અને T-2 હજી બંધ રહેશે.T-3થી સ્થાનિક ઓપરેશન્સ શરૂ કરવામાં આવી રહ્યું છે.