કોરોના સામેની લડાઈમાં મે મહિનો મહત્વપૂર્ણઃ જાણો વિગતો

નવી દિલ્હીઃ કોરોના વાયરસ વિરુદ્ધ લડી રહેલા ભારતમાં હવે લોકડાઉન લંબાવવામાં આવ્યું છે. 17 મે સુધી લોકડાઉન દેશમાં લાગુ રહેશે. જો કે બીજી બાજુ છેલ્લા કેટલાય દિવસથી નવા કેસોની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. ત્યારે મે મહિનો કોરોના સામેની લડાઈમાં મહત્વપૂર્ણ સાબિત થવાનો છે. જ્યાં કેન્દ્ર સરકાર અર્થવ્યવસ્થાને પાટા પર લાવવા માટે કામકાજ શરુ કરી શકે છે, સામાન્ય નાગરિકોની સામાન્ય ચૂક પણ તેમને એક મોટી સમસ્યામાં મૂકી શકે છે.

કોરોના વાયરસ વિરુદ્ધના યુદ્ધમાં મે મહિનો શાં માટે મહત્વપૂર્ણ છે તે વિશે પણ જાણવું જરુરી છે. હકીકતમાં, આનું સૌથી મોટું કારણ લોકડાઉન છે કે જેણે ખૂબ હદ સુધી ભારતમાં કોરોના વાયરસને કંટ્રોલ કર્યો છે પરંતુ બીજી બાજુ લોકોના ઉદ્યોગ અને ધંધા બંધ હોવાની સાથે જ મજૂરો અને કામદારોની રોજી-રોટી પણ અત્યારે છીનવાઈ ગઈ છે અને લાખો પ્રવાસી મજૂરો અન્ય રાજ્યોમાં ફસાયેલા છે.

પહેલા અપેક્ષા હતી કે બીજા લોકડાઉન બાદ કેટલીક છૂટછાટ મળી શકે છે. ગૃહ મંત્રાલય પહેલાથી જ આ તારીખ બાદ અન્ય રાજ્યોમાં પ્રવાસીઓ અને ફસાયેલા લોકોને તેમના ઘર સુધી પહોંચાડવાની વ્યવસ્થા કરવાની જાહેરાત કરી ચૂક્યું છે. ગત શનિવારે સિંગાપોર યૂનિવર્સિટી ઓફ ટેક્નોલોજી એન્ડ ડિઝાઈને દાવો કર્યો હતો કે ન માત્ર ભારત પરંતુ દુનિયાના અન્ય દેશોમાં પણ આ વાયરસ જલ્દી જ ખતમ થઈ જશે સિંગાપોર યૂનિવર્સિટી અનુસાર ભારતમાં 20 મે તારીખ સુધીમાં કોરોના ખતમ થઈ શકે છે. ગત શુક્રવારના રોજ કેન્દ્ર સરકારે દાવો કર્યો હતો કે જો 16 મે સુધી દેશના લોકો લોકડાઉનનું પાલન કરશે તો કોઈ નવો કેસ સામે નહી આવી શકે. એટલેે કે ભારતમાંથી કોરોનાને ખતમ કરી શકાશે.

ઉલ્લેખનીય છે કે, લોકડાઉનની અવધિ 17 મે સુધી વધારી દેવામાં આવી છે. કારણ કે અત્યારે લોકડાઉન ખૂલે તો સ્થિતિ વિકટ બની શકે છે અને એટલા માટે જ કેન્દ્ર સરકાર દ્વારા આ ખરેખર મહત્વનો અને યોગ્ય નિર્ણય લેવામાં આવ્યો છે.