ચીન પર આપેલા નિવેદનને લઈને મણિશંકર ઐયરે માફી માગી

નવી દિલ્હીઃ લોકસભા ચૂંટણીના સાતમા તબક્કા માટેનું મતદાન થતાં પહેલાં કોંગ્રેસ નેતા મણિશંકર ઐયરે ફરી એક વાર વિવાદિત નિવેદન કર્યું છે. કોંગ્રેસની રેવડી દાણાદાણ થયા પછી તેમણે પોતાના નિવેદન બદલ માફી માગી લીધી હતી. કોંગ્રેસે આ મામલે સ્પષ્ટતા કરવી પડી હતી, પરંતુ ભાજપ હવે કોંગ્રેસ પર આકરા પ્રહાર કરી રહ્યો છે.

વાસ્તવમાં મણિશંકર ઐયરે 1962માં થયેલા ચીનના આક્રમણ માટે ભૂલથી કથિત શબ્દનો ઉપયોગ કરવા માટે ગઈ કાલે માફી માગી હતી. ઐયરના આ નિવેદનથી કોંગ્રેસે ખુદને અલગ કરી દીધી હતી.

જોકે ભાજપે આ સંશોધનવાદ (રિવિજનિઝમ)નો નિર્લજ્જ પ્રયાસ ઘોષિત કર્યો હતો. ઐયરે ફોરેન કોરસ્પોડન્ટ ક્લબમાં એક કાર્યક્રમમાં એક ઘટના સંભળાવતાં કહ્યું હતું કે ઓક્ટોબર 1962માં ચીનીઓએ કથિત રીતે ભારત પર આક્રમણ કર્યું હતું. ઐય્યરના નિવેદનને ભાજપે સંશોધનવાદનો નિર્લજ્જ પ્રયાસ ગણાવ્યો હતો. કોંગ્રેસ પ્રવક્તા જયરામ રમેશે કહ્યું હતું કે ઐયરના વિના શરતે માફી માગ્યા પછી આ મુદ્દો ખતમ થઈ જવો જોઈએ.

ઐયરે આ ટિપ્પણી “નેહરુઝ ફર્સ્ટ રિક્રુટ્સ” પુસ્તકના વિમોચન સમયે કરી હતી. તેમના આ નિવેદન બાદ કોંગ્રેસના મહાસચિવ જયરામ રમેશે જણાવ્યું હતું કે ઐય્યરે પાછળથી ભૂલથી ‘કથિત હુમલો’ શબ્દનો ઉપયોગ કરવા માટે માફી માગી હતી અને પાર્ટીએ ‘મૂળ પરિભાષા’થી પોતાને અલગ કરી દીધા હતા. રમેશે વડા પ્રધાન નરેન્દ્ર મોદી પર મે, 2020માં ચીનની ઘૂસણખોરી માટે ‘ક્લીનચિટ’ આપવાનો પણ આરોપ લગાવ્યો હતો.