લોકસભા ચૂંટણીઃ ઇન્દોરમાં પણ થઈ ‘સુરતવાળી’

ઇન્દોરઃ વાર્ષિક સ્વચ્છ સિટી તરીકે ઇન્દોર સાત વાત પહેલા ક્રમે આવ્યું છે, પણ ગયા વખતે ઇન્દોરની સાથે સુરત પણ સ્વચ્છ સિટી તરીકે સંયુક્ત રીતે પહેલા ક્રમે આવ્યું હતું, પરંતુ હવે સુરતે જે રીતે ભાજપને એક સીટની લોકસભા ચૂંટણી પહેલાં ભેટ તાસકમાં આપી હતી, એ રાહે હવે ઇન્દોર પણ જોડાયું છે.  

લોકસભા ચૂંટણીના ત્રીજા તબક્કાના મતદાન પહેલાં મધ્ય પ્રદેશના રાજકારણમાં ગરમાવો આવ્યો છે. ઇન્દોરથી કોંગ્રેસના ઉમેદવાર અક્ષય કાંતિ બમે પોતાની ઉમેદવારી પાછી ખેંચી છે. તેમણે 29 એપ્રિલે સવારે કલેક્ટર ઓફિસ જઈને નામાંકન પરત ખેંચ્યું છે. હવે ભાજપના લોકસભા ઉમેદવાર શંકર લાલવાનીની સામે કોંગ્રેસી ઉમેદવારે ચૂંટણી મેદાન છોડી દીધું છે.

બમ ભાજપ નેતા રમેશ મંડોલાની સાથે નામાંકન પરત લેવા પહોંચ્યા હતા. બમ પક્ષના નેતાઓની સતત અવહેલનાથી નારાજ હતા. જ્યારે તેમણે નામાંકન દાખલ કર્યું, ત્યારે એ સમયે તેમની સાથે કોઈ મોટા કોંગ્રેસી નેતા તેમની સાથે નહોતા. તેમણે ખુદ સ્વીકાર કર્યો હતો કે કોંગ્રેસે તેમને બલિનો બકરો બનાવ્યો છે.

અક્ષય કાંતિ બમ નામાંકન પરત લીધા પછી ભાજપમાં સામેલ થઈ ગયા છે. નામાંકન પરત લેતાં પહેલાં બમ કેબિનેટ નંત્રી કૈલાશ વિજયવર્ગીયની સાથે જોવા મળ્યા હતા. તેમની સાથેના ફોટા વિજયવર્ગીયએ સોશિયલ મિડિયા પર પણ પોસ્ટ પણ કર્યા હતા. તેમણે લખ્યું હતું કે ઇન્દોરથી કોંગ્રેસના લોકસભા ઉમેદવાર અક્ષય કાંતિ બમને વડા પ્રધાન મોદી, રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા, મુખ્ય મંત્રી ડો. મોહન યાદવ, પ્રદેશાધ્યક્ષ વીડી શર્માના નેતૃત્વમાં ભાજપમાં સ્વાગત છે. આ રાજકીય ઘટનાક્રમમાં કૈલાશ વિજયવર્ગીયની મોટી ભૂમિકા રહી હતી. ઇન્દોરના મેયર પુષ્ય મિત્ર ભાર્ગવે કહ્યું હતું કે એ કાર્યક્રમમાં બમથી મારી મુલાકાત થઈ હતી, ત્યારે મેં તેમને સવાલ પૂછ્યો હતો કે તમે દેશની સાથે અને રામની સાથે છો કે નહીં? તો તેમણે કહ્યું હતું કે હું રામ અને દેશની સાથે છું.