ચાવીઓ ગુમઃ ભાજપ-કોંગ્રેસે ઓડિશા સરકારને આડે હાથ લીધી

પુરીઃ ઓડિશાના પુરીમાં જગન્નાથ મંદિરના રત્ન ભંડારની ચાવીઓ ગુમ થવાને લઈને વિપક્ષ-ભાજપ અને કોંગ્રેસ રાજ્યની બિજુ જનતા દળની સરકાર પર નિશાન સાધતાં રાજ્યમાં આંદોલન શરૂ કર્યું છે. આ ઉપરાંત આ પક્ષોએ તપાસ માટે રચાયેલા ન્યાયિક પંચનો રિપોર્ટ જાહેર કરવાની વાત કરી છે. 12મી સદીના મંદિરના ખજાનાની ખોવાયેલી ચાવીઓને મામલામાં બે દિવસ પહેલાં ઓડિશા હાઇકોર્ટે એક અરજી પર રાજ્ય સરકારને 10 જુલાઈ સુધી જવાબ રજૂ કરવા માટે કહેવામાં આવ્યું છે, જેમાં લાપપતા રત્ન ભંડારની ચાવીઓ પર જસ્ટિસ રઘુબીર દાસ પંચનો તપાસ રિપોર્ટને જાહેર કરવાની માગ પણ કરવામાં આવી હતી.

આ મુદ્દે મૌન ધારણ કરવા બદલ મુખ્ય પ્રધાન નવીન પટનાયકની ટીકા કરતાં ઊજપના પ્રદેશ એકમના અધ્યક્ષ બસંત પાંડાએ આરોપ લગાવ્યો હતો કે આ ઘટનાની ન્યાયિક તપાસનો આદેશનો ઉદ્દેશ લોકોનું ધ્યાન બીજે વાળવાનું છે. ન્યાયિક પેનલે આશરે પાંચ વર્ષ પહેલાં નવેમ્બર 2018માં રિપોર્ટ રાજ્ય સરકારને સોંપ્યો હતો. સરકારે એના પર કોઈ કાર્યવાહી નથી અને અને એને કોરાણે મૂકી દીધો છે, એમ ભાજપના પ્રવક્તા પિતાંબર આચાર્યેએ કહ્યું હતું.

કોંગ્રેસના વરિષ્ઠ નેતા બિજય પટનાયકે કહ્યું હતું કે જો સરકાર પારદર્શિતામાં વિશ્વાસ કરતી હોય તો ન્યાયિક પંચનો રિપોર્ટ વિના વિલંબે જાહેર કરવો જોઈએ. સત્તારૂઢ  BJD એક નિવેદનમાં કહ્યું હતું કે રત્ન ભંડાર 1985થી 38 વર્ષથી ખૂલ્યો નથી અને વિપક્ષે ભગવાન જગન્નાથને નામે રાજકારણ કરવાથી બચવું જોઈએ. મંદિરના ગર્ભગૃહમાં સ્થિત રત્ન ભંડારના બે ભાગ છે. રત્ન ફંડારના બહારના ભાગમાં દેવતાઓ દ્વારા દૈનિક આધારે ઉપયોગ કરવામાં આવતાં આભૂષણોનો સંગ્રહ છે, જ્યારે આભૂષણોના કેટલાય ટુકડા આંતરિક ભવન રાખવામાં આવ્યા છે.