ટેરર ફંડિંગ ગુનોઃ યાસીન મલિક અપરાધી ઘોષિત

નવી દિલ્હીઃ દેશમાં ત્રાસવાદી પ્રવૃત્તિઓ કરવા માટે દેશવિરોધી તત્ત્વોને નાણાંકીય સહાય પૂરી પાડવાના એક કેસમાં અહીંની વિશેષ NIA (નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સી) અદાલતે કશ્મીરી અલગતાવાદી નેતા યાસીન મલિકને આજે અપરાધી જાહેર કર્યો છે. મલિકને સજાની સુનાવણી 25 મેએ કરાશે. મલિકને આજીવન કેદની સજા થઈ શકે છે.

સ્વયંભૂ રચાયેલા જમ્મુ એન્ડ કશ્મીર લિબરેશન ફ્રન્ટ સંગઠનના ભૂતપૂર્વ વડા યાસીન મલિક સામે અનલોફૂલ એક્ટિવિટીઝ (પ્રીવેન્શન) એક્ટ હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. એની સામે આ કાયદાની કલમ 16 (ત્રાસવાદી કૃત્ય), કલમ 17 (ત્રાસવાદી પ્રવૃત્તિ માટે ભંડોળ ઊભું કરવું), કલમ 18 (ત્રાસવાદી કૃત્ય કરવા માટે ષડયંત્ર ઘડવું) અને કલમ 20 (કોઈ ત્રાસવાદી ટોળકી કે સંગઠનનો સભ્ય હોવું)ના ગુના નોંધવામાં આવ્યા છે. તે ઉપરાંત ઈન્ડિયન પીનલ કોડ (આઈપીસી)ની કલમ 120-બી (ગુનાહિત ષડયંત્ર) અને 124-એ (દેશદ્રોહ) કલમ હેઠળ પણ ગુનો નોંધવામાં આવ્યો છે. 1966માં જન્મેલો યાસીન મલિક કશ્મીરી અલગતાવાદી નેતા છે. એક સમયનો ઉગ્રવાદી નેતા છે જેણે કશ્મીરને ભારત અને પાકિસ્તાન, બંનેથી અલગ કરવાની માગણી કરી છે. એણે 1994ની સાલથી હિંસા છોડી દીધી હતી અને શાંતિપૂર્ણ પગલાં દ્વારા કશ્મીર વિવાદમાં સમાધાન લાવવાનું પસંદ કર્યું છે, પરંતુ એણે ભૂતકાળમાં આચરેલા ગુનાઓ બદલ એને સજા થશે. યાસીને હમીદ શેખ, અશફાક વની, જાવેદ એહમદ મીર સાથે મળીને પાકિસ્તાનના કબજા હેઠળના કશ્મીરમાં શસ્ત્રો-ત્રાસવાદની તાલીમ લઈને આવેલા જેકેએલએફના ત્રાસવાદીઓનું HAJY નામનું એક જૂથ બનાવ્યું હતું.