વૈષ્ણો દેવી મંદિરમાં રૂ. 500 કરોડની ચાંદી નકલી કે પછી બદલવામાં આવી?

જમ્મુ-કાશ્મીર: જમ્મુ-કાશ્મીરના માતા વૈષ્ણો દેવી શ્રાઇનમાં 500 કરોડ રૂપિયાથી વધુ મૂલ્યની કથિત નકલી ચાંદીના ચઢાવાને મામલે જમ્મુ કોર્ટ આકરું વલણ અપનાવી રહી છે. કોર્ટે ક્રાઇમ બ્રાન્ચના તપાસ અધિકારીને જરૂરી દસ્તાવેજો સાથે હાજર થવાનો આદેશ આપ્યો છે. આ કેસની આગામી સુનાવણી 29 જુલાઈએ થશે.જમ્મુના ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ મુનિશ કુમાર મન્હાસની અદાલતે ક્રાઇમ બ્રાન્ચના તપાસ અધિકારીને આગામી સુનાવણી દરમિયાન સંબંધિત રેકોર્ડ સાથે વ્યક્તિગત રીતે હાજર રહેવા જણાવ્યું છે.

ચાંદીના ચઢાવામાં કથિત ભેળસેળની તપાસની માગ

આ આદેશ વકીલ દીપક શર્મા દ્વારા દાખલ કરાયેલી અરજીની સુનાવણી દરમિયાન આપવામાં આવ્યો હતો. વકીલે અગાઉ ઇન્સ્પેક્ટર જનરલ ઓફ પોલીસ (ક્રાઇમ બ્રાન્ચ, જમ્મુ) અને સિનિયર સુપરિન્ટેન્ડન્ટ ઓફ પોલીસ (ક્રાઇમ બ્રાન્ચ, ઇકોનોમિક ઓફેન્સ વિંગ, જમ્મુ) સમક્ષ વિગતવાર ફરિયાદ નોંધાવી હતી.

ફરિયાદમાં શ્રી માતા વૈષ્ણો દેવી શ્રાઇનમાં ભક્તો દ્વારા ચઢાવવામાં આવેલી ચાંદીમાં કથિત ભેળસેળ, તેને બદલવાની કાર્યવાહી અને સંભવિત ગેરરીતિ અંગે FIR નોંધવાની તથા વ્યાપક તપાસ કરવાની માગ કરવામાં આવી હતી. નવ મે 2026એ દાખલ કરાયેલી ફરિયાદમાં દીપક શર્માએ અનેક ગંભીર અને અનેક ગુનાઓના આક્ષેપ કર્યા હતા. તેમાં આપરાધિક કાવતરું, છેતરપિંડી, વિશ્વાસઘાત, ગેરરીતિ, રેકોર્ડમાં ચેડાં અને કેડમિયમ ધરાવતી સામગ્રીની સંભવિત ખરીદી અથવા ઉપયોગ જેવા આરોપો સામેલ હતા. ક્રાઇમ બ્રાન્ચ તરફથી કોઈ અસરકારક કાર્યવાહી ન થતાં ફરિયાદીએ જમ્મુના ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટની અદાલતનાં દ્વાર ખટખટાવ્યાં હતાં. તેમણે કાર્યવાહી અંગેનો અહેવાલ, FIR નોંધવાની કાર્યવાહી અને યોગ્ય તપાસ માટેના આદેશોની માગ કરી હતી.

નકલી ચાંદીનો સમગ્ર વિવાદ શું છે?

મંદિરમાં નકલી ચાંદીનો વિવાદ ત્યારે શરૂ થયો જ્યારે કેટલાક અહેવાલોમાં જણાવાયું કે લગભગ 550 કરોડ રૂપિયાની કિંમતની અંદાજે 20 ટન ચાંદીની ભેટ પરીક્ષણ, ઓગાળવા અને પ્રોસેસિંગ માટે મોકલવામાં આવી હતી. તપાસ દરમિયાન માત્ર 5થી 6 ટકા ચાંદી જ અસલી હોવાનું સામે આવ્યું, જ્યારે બાકી ચાંદી કથિત રીતે “નકલી” હોવાનું જણાયું. તેમાં કેડમિયમ, લોખંડ અને અન્ય નીચી ગુણવત્તાવાળી ધાતુઓ હોવાનું કહેવાયું હતું.