નવી દિલ્હીઃ કેન્દ્ર સરકારે સંસદમાં પશ્ચિમ એશિયામાં વધતા તણાવ અંગે સત્તાવાર નિવેદન આપ્યું હતું. વિદેશ મંત્રી એસ. જયશંકરે રાજ્યસભામાં ઇઝરાઇલ–ઇરાન યુદ્ધ અંગે બોલતાં જણાવ્યું હતું કે ખાડી દેશોમાં હાલ પરિસ્થિતિ ચિંતાજનક છે અને ભારત શાંતિના પક્ષમાં છે. રાજ્યસભામાં પશ્ચિમ એશિયાની હાલની સ્થિતિ અંગે નિવેદન આપતાં તેમણે કહ્યું હતું કે 28 ફેબ્રુઆરીથી વિસ્તારમાં તણાવપૂર્ણ વાતાવરણ છે અને ખાડી પ્રદેશના અનેક દેશોમાં પરિસ્થિતિ ચિંતાજનક બની છે. તેમણે જણાવ્યું કે ભારત સરકાર સતત પરિસ્થિતિ પર નજર રાખી રહી છે અને ત્યાં રહેતા ભારતીયોની સુરક્ષા તેની સર્વોચ્ચ પ્રાથમિકતા છે.
આ મુદ્દે સુરક્ષા મામલાઓની કેબિનેટ સમિતિ (Cabinet Committee on Security)ની બેઠકમાં પણ વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી અને સંબંધિત તમામ વિભાગોને જરૂરી સૂચનાઓ આપવામાં આવી છે. વિદેશ મંત્રીએ જણાવ્યું હતું કે પશ્ચિમ એશિયામાં ચાલી રહેલી ઘટનાઓ દરેક માટે ગંભીર ચિંતાનો વિષય છે. ભારતનું માનવું છે કે કોઈ પણ વિવાદનો ઉકેલ વાતચીત અને કૂટનીતિક પ્રયાસોથી જ શક્ય છે. પરિસ્થિતિ પર નજર રાખવા માટે સરકારે એક વિશેષ કન્ટ્રોલ રૂમ પણ બનાવ્યો છે, જે વિસ્તારમાં રહેલા ભારતીયો સાથે સતત સંપર્કમાં રહી તેમને જરૂરી મદદ પહોંચાડશે.
વિશેષ કન્ટ્રોલ રૂમ બનાવાયો
તેમણે કહ્યું હતું કે ભારત માને છે કે તમામ મુદ્દાઓનો ઉકેલ ચર્ચા અને સંવાદ દ્વારા જ આવવો જોઈએ. પશ્ચિમ એશિયામાં સંઘર્ષ શરૂ થયા બાદથી ભારત સરકાર પરિસ્થિતિનું સતત મૂલ્યાંકન કરી રહી છે. ખાસ કન્ટ્રોલ રૂમ બનાવવામાં આવ્યો છે. ભારત શાંતિ, સંવાદ અને કૂટનીતિ દ્વારા ઉકેલનો સમર્થક છે. હાલની પરિસ્થિતિમાં તણાવ ઘટાડવા, સંયમ રાખવા અને નાગરિકોની સુરક્ષા સુનિશ્ચિત કરવા ભારત ભાર મૂકે છે.
તેમણે જણાવ્યું હતું કે ખાડી દેશોમાં લગભગ 1 કરોડ ભારતીયો રહે છે અને સરકાર તેમની સુરક્ષા માટે સતત સંપર્કમાં છે. પશ્ચિમ એશિયામાં વધતા તણાવની અસર સામાન્ય જીવન અને વેપાર પર પણ પડી રહ્યો છે. સપ્લાય ચેન પર પણ દબાણ જોવા મળી રહ્યું છે. ભારત પોતાની ઊર્જા જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને પરિસ્થિતિ પર સતત નજર રાખી રહ્યું છે.


