ગાંધીનગર: કોબા તીર્થ ખાતે નવ નિર્મિત સમ્રાટ સંપ્રતિ મ્યુઝિયમ તૈયાર કરવામાં આવ્યું છે. જે ભવ્ય સંસ્કૃતિની વિરાસત અને ઐતિહાસિક ધરોહરનો અનોખો સંગમ સર્જાવવા જઈ રહ્યું છે. આ ભવ્ય મ્યુઝિયમનું લોકાર્પણ ૩૧ માર્ચ, ૨૦૨૬ને મંગળવારના રોજ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના હસ્તે કરવામાં આવશે.
આ ઉદ્ઘાટન સમારોહ આચાર્ય પદ્મસાગરસૂરીશ્વરજી, ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રત, મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી અને શ્રી મહાવીર જૈન આરાધના કેન્દ્ર – કોબા તીર્થના પ્રમુખ સુધીર મહેતા તેમજ ભારતભરના અનેક પ્રતિષ્ઠિત મહાનુભાવોની ઉપસ્થિતિમાં યોજાશે.
આ મ્યુઝિયમ ઈ.સ.પૂર્વે ૨૨૪ થી ૨૧૫ દરમિયાન શાસન કરનાર જૈન ધર્મની મહાન વિભૂતિ અને અહિંસાના પ્રચારક, સમ્રાટ અશોકના પૌત્ર એવા સમ્રાટ સંપ્રતિ મહારાજના પ્રેરણાદાયી જીવન અને મૂલ્યોને સમર્પિત છે. પ્રાચીન ભારતીય સંસ્કૃતિની આધ્યાત્મિક ચેતનાને ઉજાગર કરનાર આ મ્યુઝિયમ ભાવી પેઢીને માટે પ્રેરણા સ્વરૂપ બની રહેશે.
સમ્રાટ સંપ્રતિ મ્યુઝિયમ ટોરેન્ટ ગ્રુપના યુ.એન.એમ. ફાઉન્ડેશનના સહયોગથી નિર્માણ પામેલ છે. યુ.એન.એમ. ફાઉન્ડેશને તેના સંચાલન અને જાળવણીની જવાબદારી પણ સ્વીકારી છે. તેમાં શતાબ્દીઓ જૂના દુર્લભ પ્રાચીન અવશેષો, જૈન કલાકૃતિઓ અને પરંપરાગત વારસાને સાચવીને રાખવામાં આવ્યા છે. અહીં પાષાણ અને ધાતુની મૂર્તિઓ, વિશાળ તીર્થ પટ્ટો, યંત્ર પટ્ટો, લઘુચિત્રો, ચાંદીના રથો અને સિક્કાઓ, પ્રાચીન હસ્તપ્રતો સહિતના ઐતિહાસિક અમૂલ્ય સંગ્રહને સાત ભવ્ય ગેલેરીઓમાં પ્રદર્શિત કરવામાં આવ્યો છે, જે ઈ.સ.પૂર્વે ૨૦૦ના સમયથી ભારતની આધ્યાત્મિક અને કલાત્મક પરંપરાનો દુર્લભ પરિચય કરાવે છે.
આ મ્યુઝિયમનું નિર્માણ આચાર્યદેવ પદ્મસાગરસૂરીશ્વરજીનું એક જીવન સ્વપ્ન હતું અને તેઓના માર્ગદર્શન હેઠળ કરવામાં આવેલ પ્રયત્નોનું પરિણામ છે. તેમણે છેલ્લાં છ દાયકામાં ભારત અને નેપાળમાં આશરે બે લાખ કિલોમીટર જેટલી પદયાત્રા કરી. જે દરમિયાન તેમણે ભારતના દરેક વિસ્તારમાંથી સંકલિત કરેલા અમૂલ્ય સાંસ્કૃતિક અવશેષોને શ્રદ્ધા અને સંરક્ષણ સાથે અહીં સ્થાપિત કર્યા.
આ અંગે સુધીર મહેતાએ જણાવ્યું કે, “આ સ્વપ્નને આકાર લેતા જોવું અત્યંત સંતોષદાયક છે. આ મ્યુઝિયમ આપણા સહિયારા વારસાની દીવાદાંડી બનશે અને આવનારી પેઢીઓને ભારતની આધ્યાત્મિકતા, સંસ્કૃતિ અને કળા વિશે ઊંડાણપૂર્વક જાણવાની પ્રેરણા આપશે. આ પવિત્ર કાર્યનો ભાગ બનવા બદલ હું નમ્રતાપૂર્વક ગૌરવ અનુભવું છું.”
સમ્રાટ સંપ્રતિ મ્યુઝિયમમાં આધુનિક ઑડિયો-વિઝ્યુઅલ ટેકનોલોજી, આધ્યાત્મિક સંગીત અને ઇમર્સિવ પ્રેઝન્ટેશન્સનો ઉપયોગ કરીને મુલાકાતીઓ, સંશોધકો અને વિદ્વાનો માટે આધુનિક અને સમૃદ્ધ અનુભવનું માળખું તૈયાર કરવામાં આવ્યું છે. આ મ્યુઝિયમ સમાજને અહિંસા, સંયમ અને કરુણા જેવા શાશ્વત મૂલ્યોનો આધ્યાત્મિક સંદેશ પહોંચાડે છે. આ મ્યુઝિયમની સાત અલગ-અલગ ગેલેરી ભારતની દરેક પરંપરાના જુદાં જુદાં વિશિષ્ટ પાસાઓને સમર્પિત છે.
1. પ્રથમ ગેલેરી : આ ગેલેરી જૈન તત્ત્વજ્ઞાનના મૂળભૂત સિદ્ધાંતોનો પ્રભાવશાળી પરિચય આપે છે. અહીં ભગવાન ઋષભદેવ (પ્રથમ તીર્થંકર) થી લઈને ભગવાન નેમિનાથ (૨૨મા તીર્થંકર) સુધીના તમામ તીર્થંકરોના જીવન અને ઉપદેશોનું વર્ણન કરવામાં આવ્યું છે. આ ગેલેરીમાં પાંચમી થી પંદરમી સદી સુધીની પ્રાચીન જૈન મૂર્તિઓ, હસ્તપ્રતો અને મહાપુરુષોની કથાને કહેતાં પેઇન્ટિંગ પ્રદર્શિત કરવામાં આવ્યા છે.
2. બીજી ગેલેરી : આ ગેલેરી ૨૩મા તીર્થંકર ભગવાન પાર્શ્વનાથના જીવન અને તેમની આધ્યાત્મિક પરંપરાને સમર્પિત છે. અહીં ધાતુ અને પાષાણની પ્રાચીન મૂર્તિઓ સાથે ધરણેન્દ્ર-પદ્માવતી જેવા રક્ષણકારી દેવ-દેવીઓની પ્રતિમાઓ અને ચિત્ર પટ્ટો પ્રદર્શિત કરવામાં આવ્યા છે.
3. ત્રીજી ગેલેરી : આ ગેલેરીમાં ૨૪મા તીર્થંકર ભગવાન મહાવીર સ્વામીના ૭૨ વર્ષના જીવનપ્રવાસને જન્મથી લઈને નિર્વાણ સુધી અને એ પછીના બારમા સૈકા સુધીના વારસાને રજૂ કરવામાં આવ્યો છે. અહીં પાષાણ અને ધાતુની મૂર્તિઓ, યંત્રચિત્રો, નક્શાઓ તથા જૈન આગમ ગ્રંથોની પ્રાચીન હસ્તપ્રતો દ્વારા જ્ઞાનપરંપરાનો પરિચય આપવામાં આવ્યો છે.
4. ચોથી ગેલેરી : આ ગેલેરી ૧૩મી થી ૧૭મી સદી દરમિયાન વિપરીત સંજોગોમાં પણ વિસ્તરેલા જૈન ધર્મના વિકાસના સુવર્ણયુગને દર્શાવે છે. દુર્લભ હસ્તપ્રતો તથા મુઘલ સમ્રાટ અકબર દ્વારા જૈન આચાર્યજીને આપવામાં આવેલ મૂળ મુગલકાલીન ફરમાન (અકબરનું ફરમાન) સહિતના ઐતિહાસિક દસ્તાવેજો ગેલેરીને વિશેષ સમૃદ્ધ બનાવે છે.
5. પાંચમી ગેલેરી : આ ગેલેરી ૧૮મી થી ૨૦મી સદી દરમિયાનના જૈન કલા સાહિત્ય અને ધાર્મિક પરંપરાનો પરિચય આપે છે. અહીં ચિત્રિત વસ્ત્રો, રજત રથ (ચાંદીનો રથ), જૈન મંદિરો અને સમવસરણના કાષ્ઠ રૂપકો તથા લાકડાના કારીગરીના નમૂનાઓ દ્વારા સાંસ્કૃતિક સમૃદ્ધિનું સુંદર દર્શન થાય છે.
6. છઠ્ઠી ગેલેરી : આ ગેલેરી ભારતીય સંસ્કૃતિ, કલા અને સ્થાપત્યના વ્યાપક વૈભવને રજૂ કરે છે. અહીં ૮મી થી ૨૦મી સદી સુધીના પ્રાચીન સિક્કાઓ, વેદ–પુરાણ–આયુર્વેદના ગ્રંથો તથા પરંપરાગત હસ્તકલા ભારતીય સંસ્કૃતિના વૈભવનું ઉત્તમ પ્રતિનિધિત્વ રજૂ કરવામાં આવ્યું છે.
7. સાતમી ગેલેરી : આ ગેલેરીને આધુનિક સુવિધાઓથી સજ્જ ઓડિટોરિયમ તરીકે વિકસાવવામાં આવી છે. અહીં શેત્રુંજય ગિરિરાજ, ગિરનાર અને રાણકપુર જૈન મંદિરો જેવા પવિત્ર તીર્થસ્થળોની ડિજિટલ પ્રસ્તુતિઓ શ્રોતાઓને આધ્યાત્મિક ઊંચાઈએ લઈ જશે.
ઐતિહાસિક અને આધ્યાત્મિક પર્યટન કેન્દ્ર તરીકે વિકસતું સમ્રાટ સંપ્રતિ મ્યુઝિયમ શાળાના બાળકો, યુવાનો, સંશોધકો, કલા-પ્રેમીઓ અને ઇતિહાસકારો માટે ભારતના ભવ્ય ભૂતકાળ તથા સનાતન ધર્મ અને સંસ્કૃતિના વિવિધ પરિમાણોને જાણવા માટેનું યોગ્ય સ્થળ બનશે.




