અશુભ-સંકેત? 2003માં ઉત્તરકાશી, 2013માં કેદારનાથ, 2023માં જોશીમઠ?

દેહરાદૂનઃ ઉત્તરાખંડના ચમોલી જિલ્લાના જોશીમઠ નગરમાં જમીન ધસી પડવાની, ભેખડ તૂટવાની, રસ્તાઓ પર અને મકાનો-ઘરોની દીવાલોમાં તિરાડો પડવાની, ખેતરોમાં જમીન ફાટવાની ઘટનાઓને કારણે રહેવાસીઓમાં ખૂબ ગભરાટ ફેલાયો છે. નિષ્ણાતોએ કહ્યું છે કે માળખાકીય સુવિધાઓ માટે બેફામ રીતે હાથ ધરાયેલા વિકાસકાર્યો-બાંધકામને કારણે આ સ્થિતિ સર્જાઈ છે. સરકારે જોશીમઠને કુદરતી આફતગ્રસ્ત ક્ષેત્ર અથવા ભૂસ્ખલનગ્રસ્ત ક્ષેત્ર તરીકે ઘોષિત કર્યું છે. જોશીમઠમાં 35 જેટલા મકાનોની દીવાલો અને જમીનમાં મોટી તિરાડો પડી ગઈ છે. વીજળીના થાંભલાઓ વાંકા વળી ગયા છે.

જોશીમઠ પર હાલ અસ્તિત્વનો ખતરો આવી ગયો છે. ઉલ્લેખનીય છે કે, દર દસ વર્ષે ઉત્તરાખંડમાં પહાડી વિસ્તારોમાં રહેતાં લોકોને અતિ ભયાનક પૂર અને ભૂસ્ખલન જેવી કુદરતી આફતોનો સામનો કરવો પડી રહ્યો છે. 2003ના સપ્ટેમ્બરમાં વરસાદ ન હોવા છતાં ઉત્તરકાશી નગરમાં લગભગ એક મહિના સુધી ધરતીમાં કંપન અને ભૂસ્ખલનની ઘટનાઓ બનતી રહી હતી. ત્યારબાદ 2013માં કેદારનાથ ધામમાં ભયાનક પૂર આવ્યું હતું. એને જળપ્રલય કહેવામાં આવ્યો છે. એમાં પાંચ હજારથી પણ વધારે લોકો માર્યા ગયા હતા.