ભાજપ-પ્રવેશની અટકળોને ગુલામ નબી આઝાદે ફગાવી

નવી દિલ્હીઃ કોંગ્રેસના વરિષ્ઠ નેતા ગુલામ નબી આઝાદ ચાર દાયકાના લાંબા સંસદીય કાર્યકાળ પછી રાજ્યસભામાંથી નિવૃત્ત થયા છે. ગુલામ નબી આઝાદના વિદાય ભાષણમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ તેમની ભારે પ્રશંસા કરી હતી. મોદીને ગળે ડૂમો બાઝી ગયો હતો અને તેઓ બહુ લાગણીશીલ થયા હતા. વડા પ્રધાન મોદી સિવાય ભાજપે પણ ગુલામ નબી આઝાદને બહુ સન્માન આપ્યું હતું.

આ ઘટનાક્રમને જોતાં એ વાતની અટકળો તેજ થઈ હતી કે આઝાદ ભાજપપ્રવેશ કરે એવી શક્યતા છે અને તેમને કોઈ મોટું સરકારી પદ આપે એવી શક્યતા છે. વળી એ બાબતે આઝાદે પણ મૌન ધારણ કર્યું છે.

આઝાદે એક ઇન્ટરવ્યુમાં કહ્યું હતું કે જે દિવસે કશ્મીરમાં કાળો બરફ પડવા લાગશે, એ દિવસે હું ભાજપમાં જોડાઇશ. જે લોકો મારા માટે અફવા ફેલાવી રહ્યા છે, એ લોકો મારા વિશે જાણતા નથી.
ગુલામ નબી આઝાદના રાજકીય ભવિષ્યને લઈને અટકળો તેજ થઈ છે. આઝાદને એનડીએ દ્વારા ઉપરાષ્ટ્રપતિના ઉમેદવાર કે રાજ્યસભાના ચેરમેન બનાવવાની વાતો પણ થઈ રહી છે. બીજી બાજુ તેમને મહત્ત્વના રાજ્યના ગવર્નર બનાવવામાં આવે એવી પણ શક્યતા છે.

એવો પણ ક્યાસ કાઢવામાં આવી રહ્યો છે કે ભાજપ તેમને જમ્મુ-કાશ્મીરમાં મોટી ભૂમિકા આપી દે, કેમ કે ત્યાં આવનારા સમયમાં ચૂંટણી પણ થવાની છે. આઝાદ હાલ 71 વર્ષના છે. તેઓ ભાજપના સત્તાવાર નિવૃત્ત ઉંમરથી થોડાં વર્ષો પાછળ છે. હવે જોવાનું એ છે કે આઝાદનું રાજકીય ભાવિ કેવો વળાંક લે છે?