ગહેલોતનાં નેતા સોનિયા ગાંધી નહીં, વસુંધરા રાજેઃ પાઇલટ

જયપુરઃ રાજસ્થાનમાં ગરમી વધવાની સાથે રાજકીય પારો પણ ઊંચે ચઢ્યો છે. મંગળવારે ભૂતપૂર્વ ડેપ્યુટી CM સચિન પાઇલટે અશોક ગહેલોત પર નિશાન સાધ્યું છે. સચિન પાઇલટે કહ્યું હતું કે મેં મુખ્ય પ્રધાન અશોક ગહેલોતનું ધૌલપુરનું ભાષણ સાંભળ્યું. એને સાંભળીને એવું લાગતું હતું કે તેમનાં નેતા સોનિયા ગાંધી નહીં વસુંધરા રાજે છે. એક તરફ કહેવામાં આવતું હતું કે અમારી સરકારને પાડવાનું કામ ભાજપ કરી રહ્યો છે. બીજી તરફ કહેવામાં આવે છે કે અમને બચાવવાનું કામ વસુંધરા રાજે કરી રહ્યાં હતાં. તમે શું કહેવા ઇચ્છો છો, તમારે સ્પષ્ટ કરવું જોઈએ.મારી પર કેટલાય પ્રકારના આરોપ લગાડવામાં આવ્યા છે. મને નિકમ્મો, ગદ્દાર અને ના જાણે શું-શું કહેવામાં આવ્યું છે. અમે રાજસ્થાનમાં નેતૃત્વ પરિવર્તન ઇચ્છીએ છીએ, એમ પાઇટલે કહ્યું હતું.

તેમણે કહ્યું હતું કે હું અઢી વર્ષથી આ બધું સાંભળું રહ્યું છે, પરંતુ અમે ચૂપ હતા, કેમ કે અમને પાર્ટીને નુકસાન પહોંચાડવા નહોતા ઇચ્છતા. પાર્ટીના વિધાનસભ્યો અને નેતાઓને બદનામ કરવા અને ભાજપના ગુણગાન કરવા એ મારી સમજની બહાર છે.

તેમણે કહ્યું હતું કે હું 11 મેએ અજમેરમાં જનસંઘર્ષ યાત્રા કાઢીશ અને જયપુર તરફ આવીશું. એ યાત્રા 125 કિમીની હશે. યોગ્ય નિર્ણય ત્યારે લેવામાં આવશે, જ્યારે જનતાનો પૂરો સાથ હોય. હું જનતાની વચ્ચે જઈશ અને મુદ્દા ઉઠાવીશ, એમ તેમણે કહ્યું હતું.