મુંબઈ-અમદાવાદ હાઈવે પર કાર-બસ અકસ્માતમાં ચારનાં મરણ

મુંબઈઃ અહીંથી નજીકના પાલઘર જિલ્લાના ચારોટી વિસ્તારમાં મુંબઈ-અમદાવાદ નેશનલ હાઈવે પર ગુજરાત તરફ જતી એક કાર એક લક્ઝરી બસ સાથે અથડાતાં કાર ડ્રાઈવર, એક મહિલા સહિત ચાર જણનાં મરણ થયા છે. આ ગમખ્વાર અકસ્માત આજે વહેલી સવારે થયો હતો. ચારેય મૃતક કાર પ્રવાસી હતા.

ગુજરાતમાં રજિસ્ટર્ડ થયેલી કારનો ડ્રાઈવર ચારોટી વિસ્તાર નજીક સ્ટિયરિંગ પરનો કાબૂ ખોઈ બેસતાં કાર બસ સાથે અથડાઈ પડી હતી. અકસ્માત આજે વહેલી સવારે લગભગ 3.30 વાગ્યે મુંબઈથી ઉત્તર દિશામાં 140 કિ.મી. દૂર આવેલા દહાણુ નજીક થયો હતો.

પોલીસો તથા બચાવ કામદારો જાણ થતાવેંત અકસ્માત સ્થળે દોડી ગયા હતા.

પોલીસના જણાવ્યાનુસાર, મૃતકોનાં નામ આ મુજબ છેઃ મોહમ્મદ અબ્દુલ કલામ સલામ હાફિઝ (36), ઈબ્રાહિમ દાઉદ (60), આશિયાબેન કલેક્ટર (57) અને ઈસ્માઈલ મોહમ્મદ દેરાય (42). આ તમામ ગુજરાતના બારડોલીના રહેવાસી હતા. અકસ્માતમાં અન્ય ત્રણ જણ ઘાયલ પણ થયા છે. એમને હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા છે. અકસ્માતને કારણે કાર અને બસ, બંનેને ખૂબ જ નુકસાન થયું છે.