રૂ.2000ની નોટ પાછી ખેંચવાના RBIના નિર્ણયને પડકારતી અરજી હાઈકોર્ટે ફગાવી દીધી

નવી દિલ્હીઃ રૂ. 2000ના મૂલ્યની ચલણી નોટોને વ્યવહારમાંથી પાછી ખેંચી લેવાના ભારતીય રિઝર્વ બેન્કના નિર્ણયને રદબાતલ કરવાનો આદેશ ચાહતી જાહેર હિતની અરજી (PIL)ને દિલ્હી હાઈકોર્ટે આજે નકારી કાઢી છે. આરબીઆઈએ ગઈ 19 મેએ નિર્ણય લીધો તે પછી અદાલતે આવી આ બીજી જનહિતની અરજીને ફગાવી દીધી છે. ન્યાયમૂર્તિઓ સતિષચંદ્ર શર્મા અને સુબ્રમણ્યમ પ્રસાદની વિભાગીય બેન્ચે અરજી નકારી કાઢી છે. પહેલી જનહિત અરજીને પણ આ જ બેન્ચના ન્યાયાધીશોએ નકારી કાઢી હતી.

આ વખતની અરજી રજનીશ ભાસ્કર ગુપ્તા નામના નાગરિકે કરી હતી. એમણે કોર્ટમાં એવી દલીલ કરી હતી કે કોઈ પણ મૂલ્યની ચલણી નોટ ઈસ્યુ ન કરવાનો કે તે બંધ કરી દેવાનો આદેશ આપવાની કે આરબીઆઈને રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા કાયદા અંતર્ગત સ્વતંત્ર સત્તા નથી. આ સત્તા માત્ર કેન્દ્ર સરકારને જ છે.

રિઝર્વ બેન્કે આ અરજીનો વિરોધ કર્યો હતો અને અદાલતને કહ્યું હતું કે અન્ય મૂલ્યોની બેન્કનોટ્સ વ્યવહારમાં પર્યાપ્ત જથ્થામાં ઉપલબ્ધ થઈ જતાં રૂ. 2000ની નોટ વ્યવહારમાં દાખલ કરવા પાછળનો હેતુ પૂરો થયો હતો. તેથી વર્ષ 2018-19માં રૂ. 2000ની બેન્કનોટ્સનું છાપકામ અટકાવી દેવામાં આવ્યું હતું. લોકો એમની પાસેની રૂ. 2000ની નોટ કોઈ પણ બેન્કની શાખાઓમાં કે આરબીઆઈની પ્રાદેશિક શાખાઓમાં જમા કરાવી શકે છે અથવા એક્સચેન્જ કરાવી શકે છે. બેન્કમાં ખાતું ન હોય એવા લોકો પણ 2000ની નોટ એક્સચેન્જ કરાવી શકે છે. કોઈ પણ વ્યક્તિ કોઈ પણ બેન્ક શાખામાં એક જ સમયે મહત્તમ રૂ. 20,000ની મર્યાદા સુધી 2000ની નોટ બદલાવી શકે છે. રૂ. 2000ની નોટ કાયદેસર ચલણ તરીકે યથાવત્ રહેશે.

આરબીઆઈએ તમામ બેન્કોને સલાહ આપી છે કે તેમણે તાત્કાલિક રીતે અમલમાં આવે એ રીતે 2000ની બેન્કનોટ્સ કોઈને ઈસ્યુ કરવી નહીં.