રાફેલ પર સદનમાં ચર્ચાનું બીડું ઉઠાવવા તૈયાર કોંગ્રેસ…

નવી દિલ્હીઃ રાફેલ ડીલ પરનો વિવાદ શાંત થવાનું નામ નથી લઈ રહ્યો. કોંગ્રેસે લોકસભામાં એકવાર ફરીથી રાફેલનો મુદ્દો ઉઠાવ્યો છે અને આમાં કથિત રીતે ગોટાળાનો આરોપ લગાવતા કહ્યું કે તેઓ આ મુદ્દે બે જાન્યુઆરીના રોજ ચર્ચા કરવા માટે તૈયાર છે. સરકાર દ્વારા કહેવાયું છે કે તેઓ પહેલાથી રાફેલ ડીલ પર ચર્ચા કરવા માટે કહી રહ્યા છે પરંતુ કોંગ્રેસ વારંવાર ખોટુ બોલીને ચર્ચાથી ભાગતી રહી છે.

11 ડિસેમ્બરના રોજ સંસદનું શીતકાલીન સત્ર શરુ થયા બાદ કોંગ્રેસ બંન્ને સદનોમાં આ મુદ્દાને ઉઠાવતી રહી છે. કોંગ્રેસ સભ્યો આ મામલાની તપાસ સંયુક્ત સંસદીય સમિતિથી કરાવવાની માંગ કરી રહ્યા છે. લોકસભામાં કોંગ્રેસના નેતા મલ્લિકાર્જુન ખડગેએ જણાવ્યું કે ચર્ચા માટે પડકાર આપવામાં આવ્યો છે તે પડકારનો અમે સ્વિકાર કરીએ છીએ અને બે જાન્યુઆરીના રોજ ચર્ચા કરાવવામાં આવે. આના પર લોકસભા અધ્યક્ષ સુમિત્રા મહાજને કહ્યું આ કોઈ પડકાર નથી, સત્તાપક્ષ પહેલાથી જ ચર્ચા માટે તૈયાર હતા પરંતુ આપના દ્વારા કઈક એવું થઈ ગયું કે ચર્ચા ન થઈ શકી. તેમણે જણાવ્યું કે ગૃહપ્રધાન અને સંસદીય કાર્યપ્રધાને ચર્ચાની વાત કહી અને હવે તમે જ્યારે તૈયાર હશો તો ચર્ચા થશે પરંતુ ચર્ચા ક્યારે કરવી તેનો નિર્ણય મારે લેવાનો છે.

સંસદીય કાર્ય પ્રધાન નરેન્દ્ર સિંહ તોમરે જણાવ્યું કે આ વાત પહેલા ઉઠાવવામાં આવી ત્યારે ગૃહ પ્રધાન અને નાણા પ્રધાને કહ્યું હતું કે સરકાર ચર્ચા કરવા માટે તૈયાર છે અને અમને આ મામલે ચર્ચા કરાવવાનો કોઈ વાંધો નથી. કોંગ્રેસને ચર્ચાથી બચવાની જગ્યાએ આમાં ભાગ લેવો જોઈએ.

તો મલ્લિકાર્જુન ખડગેએ આ વિષયને ઉઠાવ્યો અને રાફેલ મામલાની સંયુક્ત સંસદિય સમિતિ પાસે તપાસ કરાવવાની માંગણી કરી. આ મામલે ગૃહ પ્રધાન રાજનાથ સિંહે કહ્યું કે સતત અને વારંવાર જુઠ્ઠુ બોલવાથી ક્યારેય કોઈ વાત સત્ય સાબિત નથી નથી.

તેમણે જણાવ્યું કે કોંગ્રેસ આ મામલે ગમે તેટલુ અસત્ય બોલે પરંતુ તે સત્ય ક્યારેય ન બની શકે. રાજનાથ સિંહે કહ્યું કે આ વિષય પર અમે સદનમાં ચર્ચા કરાવવા માટે તૈયાર છીએ પરંતુ કોંગ્રેસ પાર્ટી શા માટે ચર્ચાથી ભાગી રહી છે તે જણાવે. નાણા પ્રધાન અરુણ જેટલીએ આ મામલે જણાવ્યું કે રાફેલ મુદ્દે તુરંત જ ચર્ચા કરાવવામાં આવે. આ લોકોની પાર્ટી ખોટુ બોલી રહી છે.