બ્રિટિશ નાગરિકોએ ભારતમાં 10-દિવસ ક્વોરોન્ટીન રહેવું પડશે

નવી દિલ્હીઃ ભારતીયો માટે નવી બ્રિટિશ ટ્રાવેલના નિયમો ચોથી ઓક્ટોબરથી લાગુ થશે. સામે પક્ષે ભારતે બ્રિટનની સામે વળતી કાર્યવાહીમાં કોરોના પ્રતિબંધ લગાવવાનો નિર્ણય લીધો છે. હવે બંને દેશો રસી લીધા પછી નાગરિકોને ક્વોરોન્ટીન કરશે. ખાસ કરીને ભારત બ્રિટિશ નાગરિકોને ચોથી ઓક્ટોબરથી ફરજિયાતપણે 10 દિવસ સુધી ક્વોરોન્ટીન કરશે.

સરકારે નવી જાહેર કરેલી FCDO એડવાઇઝરીમાં કહ્યું હતું કે ભારતમાં આવનારા બધા બ્રિટિશ પ્રવાસીઓએ રસી લીધેલી હોવા છતાં એરપોર્ટ પોતાના ખર્ચે કોરોનાનો RT-PCR ટેસ્ટ કરાવવાનો રહેશે અને ફરજિયાતપણે ઘરે અથવા જેતે ગંતવ્ય સ્થળે 10 દિવસ માટે ક્વોરોન્ટીન રહેવું પડશે. જોકે બ્રિટિશ દૂતાવાસ દ્વારા કહેવામાં આવ્યું હતું કે આ મામલે બંને દેશો એકબીજાના સંપર્કમાં છે અને ટૂંક સમયમાં એનો ઉકેલ લાવવામાં આવશે. બ્રિટનથી ભારત આવનારાઓ માટે નવા નિયમ ચોથી ઓક્ટોબરથી લાગુ થશે. એ નવા પ્રતિબંધ બ્રિટનથી આવનારા બધા બ્રિટિશ નાગરિકો પર લાગુ થશે.

બ્રિટનથી આવેલા બધા બ્રિટિશ પેસેન્જરો કે જે આઇસોલેશન-કવોરોન્ટીન હેઠળ હશે, તેમની રાજ્ય, જિલ્લા અધિકારીઓ દ્વારા નિયમિત રીતે દેખરેખ કરવામાં આવશે. આ પગલું યુનાઇટેડ કિંગડમ દ્વારા નવા પ્રવાસના નિયમોની ઘોષણા કર્યાના થોડા દિવસો પછી આવ્યું છે, જેમાં ભારતીય પ્રવાસીઓને રસીના ડોઝ લીધા હોવા છતાં તેમને રસી નહીં લેવામાં આવ્યા હોવાનું માનવામાં આવ્યા હતા. જેથી ભારતે એને ભેદભાદપૂર્ણ જણાવતાં આ નિયમમાં ઢીલ કરવા અથવા જવાબી કાર્યવાહી કરવાની ચેતવણી આપી હતી. આખરે ભારત દ્વારા પણ બ્રિટિશ નાગરિકો માટે આકરા નિર્ણય લેવામાં આવ્યો હતો.