બગડતી સ્થિતિ વચ્ચે જાવેદ અખ્તરે લોકોને કરી અપીલ

નવી દિલ્હીઃ કોરોના વાયરસના કારણે દેશમાં સ્થિતિ ખરાબ છે. કેટલાય મોરચે પડકારો મોટા છે. એક બાજુ જ્યાં બીમારીથી બચવા માટે ઘરમાં બંધ છે તો બીજી કરફ બધુ બંધ હોવાના કારણે સ્થિતિ ખરાબ છે. આ બધાથી અલગ કેટલાક કેસોમાં ભાઈચારો ખરાબ થઈ રહ્યો છે. ડોક્ટર્સ પર હુમલો, પોલીસ પર હુમલો અને દુકાનદારો પર હુમલાના કારણે માહોલ બગડી રહ્યો છે. આ બગડતી સ્થિતિ પર બોલીવુડ સેલેબ્સ સતત લોકોને ભાઈચારો બનાવી રાખવા માટે અપીલ કરી રહ્યા છે. લેખક અને ફિલ્મમેકર જાવેદ અખ્તરે પણ એક વીડિયો દ્વારા લોકોને આ જ સંદેશ આપવાનો પ્રયત્ન કર્યો છે. હકીકતમાં તેમની પત્ની શબાના આઝમીએ પોતાના ઓફિશીયલ ટ્વીટર અકાઉન્ટથી એક વીડિયો પોસ્ટ કર્યો છે. આમાં જાવેદ લોકોને એકજૂટ રહેવાની અપીલ કરી રહ્યા છે.

જાવેદે આ વીડિયોમાં કહ્યું છે કે, મિત્રો, દેશ અત્યારે એક મોટા સંકટમાંથી પસાર થઈ રહ્યો છે.જો આપણે એકબીજા પર શક કરવા લાગ્યા અને એક બીજાની નીયતને નહી સમજીએ તો જ્યારે એકતા જ નહી હોય તો કોરોનાના આ સંકટ સામે લડીશું કેવી રીતે? એકતાની ખૂબ જરુર છે. હું રોજ અજીબો-ગરીબ વાતો સાંભળું છું. સલામ કરો એ ડોક્ટર્સને, જે પોતાના જીવ હથેળી પર લઈને આપનો ટેસ્ટ લેવા આવી રહ્યા છે. ટેસ્ટથી જ તો ખ્યાલ આવશે કે તમારામાં બિમારી છે કે નહી. ટેસ્ટમાં જો આપ પોઝિટીવ આવશો તો આપની સારવાર કરવામાં આવશે. આ ખૂબ ખોટી વાત છે કે કેટલીય જગ્યાઓ પર તો ડોક્ટર્સને પથ્થર મારવામાં આવ્યા છે. આ તો ખૂબ મૂર્ખતાનું કામ છે અને આ ન થવું જોઈએ.