નવી ‘એફડીઆઈ’થી દેશને બચાવવાનો છેઃ મોદી

નવી દિલ્હીઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ખેડૂતોના આંદોલન મુદ્દે એમની સરકાર વિરુદ્ધ શરૂ કરવામાં આવેલી ઝુંબેશની આજે ઝાટકણી કાઢી હતી અને ચેતવણી આપી હતી કે દેશની જનતાએ નવી ‘એફડીઆઈ’થી ચેતવાની જરૂર છે. નવી ‘એફડીઆઈ’ એટલે – ‘ફોરેન ડીસ્ટ્રક્ટિવ આઈડિયોલોજી’ (વિદેશી વિનાશકારી વિચારધારા). મોદીએ કહ્યું કે દેશે આવા લોકોથી ભરમાઈ જવાનું નથી, કારણ કે દરેક પ્રકારના આંદોલનમાં છલાંગ મારવાની એમની માનસિકતા રહેલી છે, પછી એ ખેડૂતોનું આંદોલન હોય કે વકીલોનું કે વિદ્યાર્થીઓનું.

રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે બજેટ સત્રના આરંભે કરેલા સંબોધન અંગે રાજ્યસભામાં એમનો આભાર માનવાના પ્રસ્તાવ તથા ચર્ચા દરમિયાન વડા પ્રધાન મોદીએ ઉપર મુજબ જણાવ્યું હતું. મોદીએ કહ્યું કે દેશમાં નવા પ્રકારના લોકો ઊભાં થયાં છે. ઉલ્લેખનીય છે કે, દિલ્હીમાં બે મહિનાથી પણ વધારે સમયથી ચાલી રહેલા ખેડૂતોના આંદોલનને અમેરિકી પોપગાયિકા રિહાના અને સ્વીડનની સગીર વયની પર્યાવરણ રક્ષણ કાર્યકર્તા ગ્રેટા થનબર્ગે ગયા અઠવાડિયે ટ્વિટરના માધ્યમથી સમર્થન આપીને ભારતની આંતરિક બાબતમાં માથું મારવાની કોશિશ કરી હતી.