પીએમ મોદી મૈસુરુ જઈને ‘યોગદિવસ’ ઉજવશે

બેંગલુરુઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદી આવતી 21 જૂને ‘આંતરરાષ્ટ્રીય યોગ દિવસ’ની ઉજવણીની આગેવાની કર્ણાટકના મૈસુરુ શહેરમાં જઈને કરશે. ભારત સરકારે આદરેલી દેશવ્યાપી પહેલ આઝાદી કા અમૃત મહોત્સવના ભાગરૂપે પીએમ મોદી મૈસુરુ મહેલ ખાતે યોગ કરશે. એમની સાથે તે દિવસે 15,000 જેટલા યોગસાધકો-યોગપ્રેમીઓ જોડાશે.

વિશાળ પાયે હાથ ધરાનાર તે કાર્યક્રમના આયોજન માટેની તૈયારીઓ પર કર્ણાટકના મુખ્ય પ્રધાન બસવરાજ બોમ્માબાઈ સતત દેખરેખ રાખી રહ્યા છે. તે કાર્યક્રમમાં સહભાગી થનારાઓની યાદી 13 જૂન સુધીમાં તૈયાર કરી દેવાની એમણે મૈસુરુના નાયબ પોલીસ કમિશનરને સૂચના આપી છે. તેમણે નાયબ કમિશનરને એમ પણ કહ્યું છે કે સહભાગીઓની પસંદગી સમાજના તમામ વર્ગોમાંથી થવી જોઈએ. એ તમામ સહભાગી વ્યક્તિઓ માટે ટ્રાન્સપોર્ટ, નાસ્તા, પીવાના પાણી તથા અન્ય સુવિધાઓની વ્યવસ્થા પણ બરાબર થવી જોઈએ. આ બધું કેન્દ્ર સરકાર સાથે પરફેક્ટ સંકલનમાં રહીને કરવાનું રહેશે.