રાજસ્થાનના 56 ટકા સરકારી શાળાઓના વર્ગખંડો જર્જરિત

જયપુરઃ રાજસ્થાન સરકારે ગયા અઠવાડિયે વિધાનસભામાં એક સવાલના જવાબમાં જણાવ્યું હતું કે રાજ્યની સરકારી શાળાઓના 56 ટકાથી વધુ વર્ગખંડો જર્જરિત હાલતમાં છે, ઉપયોગલાયક નથી અથવા મોટા પાયે મરામતની જરૂર છે. આ માહિતી ટેક્નિકલ ઓડિટને આધારે આપવામાં આવી હતી. ઝાલાવાડ જિલ્લાના મનોહર થાણા તાલુકાના ખેયાડી કા પુરા ગામની સરકારી શાળામાં શિક્ષકો આ સમસ્યાનો ઉકેલ પોતે જ શોધી રહ્યા છે.

આ જ જિલ્લામાં પિપલોડી ગામમાં જુલાઈ 2025માં એક શાળાના વર્ગખંડની છત ધરાશાયી થતાં સાત વિદ્યાર્થીઓનાં મોત થયાં હતાં અને 20 બાળકો ઘાયલ થયાં હતાં. આ દુર્ઘટનાના છ મહિના બાદ બુધવારે નવી શાળાનું નિર્માણ શરૂ થયું છે.

મરામત વિના વર્ગો ચલાવવું ખૂબ મુશ્કેલ

આ જ તાલુકાના હંડોટિયા લોધન ગામની સરકારી ઉચ્ચ પ્રાથમિક શાળાના શિક્ષકો કહે છે કે છેલ્લાં પાંચ વર્ષમાં તેમણે લગભગ 10 લાખ રૂપિયા ભેગા કરીને શાળાની મરામત કરાવી છે. શાળાના પ્રિન્સિપલ રામસિંહ મીના જણાવે છે કે 2024માં ત્રણ રૂમોની છત, શાળાનો ગેટ અને શૌચાલય સુધારવામાં આવ્યા. અકસ્માત બાદ ત્રણ અન્ય રૂમો બંધ કરી દેવામાં આવ્યા છે. શાળામાં 318 વિદ્યાર્થી છે અને મરામત વગર ભણતર શક્ય નહોતું. શિક્ષક મહેશચંદ મીના કહે છે કે વાલીઓએ જેટલી મદદ કરી શકી એટલી કરી, પરંતુ હવે સરકારને આગળ આવવું જોઈએ. અહીં મોટા ભાગનાં ઘરો કાચાં છે અને લોકોની આવક ખૂબ ઓછી છે.

રાજસ્થાન શિક્ષક સંઘના સભ્ય નારાયણ સિસોદિયા કહે છે કે અન્ય જિલ્લાઓમાં પણ આવી જ સ્થિતિ છે. શિક્ષકો બાળકોને મુશ્કેલીમાં જોઈ શકતા નથી એટલે મદદ કરે છે. ભૂતપૂર્વ કોંગ્રેસ જિલ્લા અધ્યક્ષ રઘુરાજ હાડા પણ કહે છે કે ઝાલાવાડના મોટા ભાગના સરકારી શાળાઓને તાત્કાલિક મરામત અથવા નવા ભવનની જરૂર છે. પિપલોડીમાં નવા શાળા ભવનના નિર્માણની શરૂઆતના પ્રસંગે અકસ્માતમાં મૃત્યુ પામેલા અને ઘાયલ બાળકોના પરિવારોને પ્રથમ ઈંટ મૂકવા માટે બોલાવવામાં આવ્યા હતા. નવું ભવન ગામથી આશરે દોઢ કિલોમીટર દૂર 10 વીઘા જમીન પર બની રહ્યું છે.