7 સરોવરોમાં 88.60 ટકા પાણીનો સંગ્રહ

મુંબઈઃ આ મહાનગરના રહેવાસીઓને પીવાનું પાણી સાત જળાશયો પૂરું પાડે છે. આ સાતેય જળાશયોમાં છેલ્લા કેટલાક દિવસોથી પડેલા ધોધમાર વરસાદને કારણે પાણીની ભરપૂર આવક થઈ છે અને એમાં 88.60 ટકા જેટલો સંગ્રહ થયો છે. ગયા વર્ષે આ જ સમયગાળા દરમિયાન આ સરોવરોમાં 33 ટકા પાણીનો સ્ટોક હતો અને 2020માં 27 ટકા હતો.

જૂન મહિનો લગભગ કોરો ગયા બાદ જુલાઈના પહેલા અઠવાડિયામાં મેઘરાજા મન મૂકીને વરસ્યા હતા. એને કારણે આ સાતેય સરોવરોમાં લગભગ 332 દિવસ સુધી ચાલે એટલા પાણીનો સંગ્રહ થયો છે. મોડક સાગર, તાનસા અને તુલસી સરોવરો છલકાવાના શરૂ થઈ ગયા છે. મુંબઈને દરરોજ 48 ટકા પાણી સપ્લાય કરતા ભાત્સા સરોવરમાં પાણીનું સ્તર 86.64 ટકા અથવા 6,211,257 મિલિયન લીટર થયું છે. હાલ શહેરમાં કોઈ પાણીકાપ અમલમાં નથી, પરંતુ આખું વર્ષ કાપ વગર પાણી પૂરવઠા માટે આ તમામ જળાશયો 1 ઓક્ટોબર સુધીમાં 100 ટકા ભરાઈ જવા જોઈએ.