હવાનું પ્રદૂષણ: દિવાળીમાં રાતના 7-10 સુધી જ ફટાકડા ફોડી શકાશે

મુંબઈઃ શહેરમાં હવાની ગુણવત્તામાં ભયજનક રીતે બગાડો થતાં ચિંતા વધી ગઈ છે. મુંબઈ હાઈકોર્ટે આ સમસ્યાનો સામનો કરવા માટે મહત્ત્વના શ્રેણીબદ્ધ આદેશો આપ્યા છે. મુંબઈમાં હવાના પ્રદૂષણમાં થયેલા બગાડાની ચિંતા દર્શાવતી એક જનહિતની અરજી પરની સુનાવણી વખતે મહત્ત્વનાં પગલાં લીધા છે.

હાઈકોર્ટે બાંધકામના સ્થળોએ એકત્ર થતા કાટમાળને વાહનો દ્વારા ટ્રાન્સપોર્ટ કરવાની પ્રવૃત્તિ પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવાની ચેતવણી આપી દીધી છે. કોર્ટે કહ્યું છે કે વાતાવરણમાં ધૂળ પ્રસરતી રોકવી જરૂરી છે તેથી બાંધકામને લગતી બધી સામગ્રીને હવે સંપૂર્ણપણે ઢાંકી દેવામાં આવેલી ટ્રકો કે મિક્સર પ્લાન્ટ્સમાં ટ્રાન્સપોર્ટ કરવાની રહેશે. આ પ્રક્રિયા પર્યાવરણને અનુકૂળ રહે એની ખાસ તકેદારી રાખવાની રહેશે. જો પ્રદૂષણની સ્થિતિ ચાર દિવસમાં નહીં સુધરે તો આ પ્રવૃત્તિ પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકી દેવામાં આવશે.

વધુમાં, હાઈકોર્ટે ફટાકડા ફોડવાથી, ખાસ કરીને દિવાળી તહેવારમાં ફટાકડા ફોડવાથી હવામાં ફેલાતા પ્રદૂષણને રોકવાના મામલે પણ નિર્ણય લીધો છે. હવાની ગુણવત્તા વધારે ન બગડે એટલા માટે વડી અદાલતે કહ્યું છે કે અવાજ કરતા ફટાકડા દિવાળીના તહેવારના દિવસોમાં સાંજે 7થી રાતે 10 વાગ્યા સુધી જ ફોડવાની પરવાનગી રહેશે. અન્ય સમય દરમિયાન ફટાકડા ફોડવા પર પ્રતિબંધ રહેશે.