‘મને કોરોના થઈ જશે, જામીન પર છોડો’: યસ બેન્કના રાણા કપૂરની અરજી

મુંબઈઃ યસ બેન્કના સ્થાપક રાણા કપૂરે એવી દલીલ સાથે પોતાને જામીન પર છોડવાની અરજી કરી છે કે જો પોતે જેલમાં રહેશે તો એને કદાચ નોવેલ કોરોના વાઈરસનો ચેપ લાગી જશે.

રાણા કપૂરને મની લોન્ડરિંગ કેસના સંબંધમાં નવી મુંબઈની તળોજા જેલમાં પૂરી દેવામાં આવ્યા છે. એમની સામેના કેસની તપાસ એન્ફોર્સમેન્ટ ડાયરેક્ટોરેટ એજન્સી કરી રહી છે.

પોતાની જામીન અરજીમાં રાણા કપૂરે એવો દાવો કર્યો છે કે એમનું હાલનું સ્વાસ્થ્ય જોતાં એવું લાગે છે કે એમને જેલમાં કોરોના વાઈરસ લાગુ પડવાનું મોટું જોખમ છે.

કપૂરે એમના લોયર સુભાષ જાધવ મારફત જામીન અરજી નોંધાવી છે.

કપૂરે એવો દાવો કર્યો છે કે પોતાને ઘણા સમયથી શ્વાસની તકલીફ રહે છે જેને કારણે ફેફસાંમાં ચેપ લાગે છે, સાઈનસ થાય છે અને ચામડી પર ચેપની તકલીફ ઊભી થાય છે.

કપૂરે અરજી મારફત કોર્ટને એમ પણ જણાવ્યું છે કે પોતે છેલ્લા દોઢેક વર્ષથી તીવ્ર હાઈપરટેન્શન, ચિંતા અને ડીપ્રેશનથી પીડાય છે.

કપૂરે વધુમાં કહ્યું છે કે પોતાને નાનપણથી બ્રોન્કિઅલ અસ્થમા પણ છે, જેને કારણે એમને ફેફસાંમાં ચેપ લાગવાનું મોટું જોખમ રહે છે જેને કારણે એમનું મૃત્યુ પણ થઈ શકે.

હાલ જે કોરોના વાઈરસ ફેલાયો છે એને કારણે પોતાને ફેફસાંમાં ગંભીર ચેપ લાગી શકે છે અને એમનું આ ઉંમરે મૃત્યુ પણ થઈ શકે છે, એમ 62 વર્ષના કપૂરે વધુમાં જણાવ્યું છે.

કોર્ટ આ જામીન અરજી પર આવતા સોમવારે નિર્ણય લેશે. કોર્ટે જેલના સત્તાવાળાઓને આદેશ આપ્યો છે કે તેઓ કપૂરના આરોગ્યની કાળજી લે.

સેન્ટ્રલ બ્યુરો ઓફ ઈન્વેસ્ટિગેશન (સીબીઆઈ) એજન્સીએ પણ રાણા કપૂર સામે પ્રોડક્શન વોરંટ મેળવ્યું છે અને યસ બેન્ક દ્વારા ડીએચએફએલ કંપનીનને આપવામાં આવેલા રૂ. 3,700 કરોડના સંબંધમાં એમની ધરપકડ કરે એવી પણ શક્યતા છે.

સીબીઆઈએ પોતાની એફઆઈઆરમાં એવો આરોપ મૂક્યો છે કે રાણા કપૂરના પરિવારે ઈન્વેસ્ટમેન્ટ માટે રૂ. 600 કરોડની કટકી લીધી હતી.