ગેરકાયદેસર ભોજનાલયો વિશે નીતિ ઘડોઃ મુંબઈ હાઈકોર્ટ

મુંબઈઃ વડી અદાલતે મુંબઈ મહાનગરપાલિકા વહીવટીતંત્રને કહ્યું છે કે શહેરમાં ચાલી રહેલી પરવાના વગરની કે ગેરકાયદેસર ભોજનાલયો પર અંકુશ માટે એણે કોઈ નીતિ ઘડી છે કે નહીં એ વિશે તે વિગત આપે. અને જો નીતિ ઘડી હોય તો એનો કડક રીતે અમલ કરો.

મુંબઈ હાઈકોર્ટનો આ આદેશ ઈન્ડિયન હોટેલ્સ એન્ડ રેસ્ટોરન્ટ્સ એસોસિએશને નોંધાવેલી એક પીટિશનને પગલે આવ્યો છે. એસોસિએશને કોર્ટનું ધ્યાન દોર્યું છે કે મુંબઈમાં લોકોને ફૂડ ડિલિવરી સેવા પૂરી પાડતી કંપનીઓ ગેરકાયદેસર ભોજનાલયોમાંથી ખાદ્યપદાર્થો લે છે. આવી ઘણી ભોજનાલયો કોરોનાવાઈરસ રોગચાળા વખતે ફૂટી નીકળી હતી.