પશ્ચિમ બંગાળના રાજકારણમાં આ દિવસોમાં તૃણમૂલ કોંગ્રેસ (TMC) ની અંદર મચેલો ઘમાસાણ ચરમસીમાએ પહોંચી ગયો છે. વિધાનસભા ચૂંટણીમાં મળેલા આંચકા બાદથી જ પાર્ટીની અંદર અસંતોષ સતત વધી રહ્યો હતો, જે હવે એક મોટા રાજકીય ભૂકંપના સ્વરૂપમાં બહાર આવ્યો છે. ટીએમસીના સુપ્રિમો અને પૂર્વ મુખ્યમંત્રી મમતા બેનર્જીને અત્યાર સુધીનો સૌથી મોટો ઝટકો લાગ્યો છે. પક્ષમાંથી હાંકી કઢાયેલા ફાયરબ્રાન્ડ નેતા ઋતબ્રત બેનર્જીને પશ્ચિમ બંગાળ વિધાનસભામાં વિપક્ષના નેતા તરીકે ચૂંટવામાં આવ્યા છે. સ્પીકરે આ બળવાખોર જૂથને સત્તાવાર મંજૂરી આપી દીધી છે, જેનાથી બંગાળની સત્તાધારી રાજનીતિના સમીકરણો સંપૂર્ણપણે બદલાઈ ગયા છે.

દલબદલ કાનૂનથી બચવા બળવાખોરોએ સ્પીકર સામે બતાવ્યું સંખ્યાબળ
રાજકીય વર્તુળોમાંથી મળતી વિગતો અનુસાર, ટીએમસીના આ આંતરિક બળવા પાછળ ખૂબ જ પાકું કાનૂની આયોજન કરવામાં આવ્યું હતું. પક્ષપલટા વિરોધી કાયદાની જોગવાઈઓથી બચવા માટે બળવાખોર જૂથના કુલ 80 ધારાસભ્યોમાંથી ઓછામાં ઓછા 54 ધારાસભ્યોનું સમર્થન મેળવવું અનિવાર્ય હતું. આ કાનૂની શરતને પાર કરીને ઋતબ્રત બેનર્જીની આગેવાની હેઠળના જૂથે સીધા 58 બળવાખોર ધારાસભ્યોના સહી વાળા સમર્થન પત્રો વિધાનસભા સ્પીકર રથીન બોસને સોંપ્યા હતા. સ્પીકરે સંખ્યાબળની ચકાસણી કર્યા બાદ આ જૂથને માન્યતા આપી છે અને અખરુઝ્ઝમાને નવા ચીફ વ્હીપ (Chief Whip) જાહેર કર્યા છે. બળવાખોર જૂથે સ્પષ્ટ કર્યું છે કે તેઓ મમતા બેનર્જીને આજે પણ પોતાના સર્વોચ્ચ નેતા અને આદર્શ માને છે, પરંતુ મમતાના ભત્રીજા અભિષેક બેનર્જીનું એકહથ્થુ નેતૃત્વ અને તાનાશાહી તેમને બિલકુલ મંજૂર નથી.
ઋતબ્રત બેનર્જીનો મોટો દાવો
નવા લોપ (LoP) બનેલા ઋતબ્રત બેનર્જીએ દાવો કર્યો છે કે વાસ્તવમાં 60 જેટલા ધારાસભ્યો તેમના સત્તાવાર સંપર્કમાં છે. વિધાનસભાની અંદર નેતા પ્રતિપક્ષ માટેનો નિર્ધારિત ઓરડો પણ તેમને સત્તાવાર રીતે એલોટ (ફાળવી) કરી દેવામાં આવ્યો છે. તેમણે મીડિયા સમક્ષ જણાવ્યું કે, “અમારા તમામ ધારાસભ્યોની ઈચ્છા છે કે મમતા બેનર્જી અમારા માર્ગદર્શક અને સલાહકાર બને અને અમને યોગ્ય સલાહ આપતા રહે, જેથી અમે બધા સાથે મળીને વિધાનસભાની અંદર પક્ષને પ્રભાવી ઢબે ચલાવી શકીએ.”



