મહારાષ્ટ્રના કોલ્હાપુર-સાંગલીમાં પૂરથી વિનાશઃ 26નાં મરણ; રેસ્ક્યૂ બોટ ઊંધી વળી જતાં 12 ડૂબ્યાં

મુંબઈ – મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે કહ્યું છે કે મહારાષ્ટ્રમાં કોલ્હાપુર અને સાંગલી જિલ્લાઓમાં વરસાદી આફતે હાહાકાર મચાવ્યો છે. કોલ્હાપુરમાં 14 જણનાં મરણ થયાં છે જ્યારે સાંગલી જિલ્લામાં બચાવ કામગીરીની એક બોટ ઊંધી વળી જતાં 12 જણ ડૂબી ગયાં હતા. આ બંને જિલ્લામાં વરસાદે છેલ્લા એક અઠવાડિયામાં વ્યાપક વિનાશ વેર્યો છે.

ફડણવીસે પૂરગ્રસ્ત વિસ્તારોનું હેલિકોપ્ટરમાંથી નિરીક્ષણ કર્યું હતું. સાતારા તથા પુણે જિલ્લાઓમાં પણ ભારે વરસાદે લોકોને મુસીબતમાં મૂકી દીધાં છે.

હવાઈ નિરીક્ષણમાં ફડણવીસની સાથે એમના સાથી કેબિનેટ પ્રધાનો – ચંદ્રકાંત પાટીલ, ગિરીશ મહાજન અને એકનાથ શિંદે પણ હતા.

ફડણવીસે કહ્યું કે કોલ્હાપુર, સાંગલીમાં પરિસ્થિતિ અત્યંત ગંભીર છે. યોગ્ય સમયે આ વિસ્તારમાં રાષ્ટ્રીય આફતની જાહેરાત કરવામાં આવશે.

સાંગલી જિલ્લાના બ્રહ્મનાળ ગામમાં આજે સવારે એક રેસ્ક્યૂ બોટ ઊંધી વળી જતાં 12 જણ ડૂબી ગયાં હતાં. પૂરમાં ફસાયેલા 30 જેટલા ગામવાસીઓને તે બોટમાં બેસાડવામાં આવ્યા હતા, પરંતુ બોટમાં સંતુલન ગુમાઈ જતાં તે ઊંધી વળી ગઈ હતી. 15 જેટલા લોકોને બચાવી શકાયા હતા. પૂરનાં પાણીમાં ડૂબી ગયેલા અન્ય લોકોની શોધ ચાલુ હતી.

ફડણવીસે કહ્યું કે કોલ્હાપુરમાં પૂરમાં ફસાયેલા લોકોને બચાવવા માટે નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સની 13 ટીમ, ભારતીય લશ્કરની એક કોલમ, નૌકાદળની 14 ટીમ, કોસ્ટ ગાર્ડની એક ટીમ, સ્ટેટ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સની એક ટીમ, હવાઈ દળ તથા સ્થાનિક એજન્સીઓનાં મળીને 10 હજારથી વધુ જવાનો તહેનાત કરવામાં આવ્યા છે.