મુંબઈમાં મસ્જિદ બંદર વિસ્તારમાં મકાન તૂટી પડ્યું; એકનું મરણ

મુંબઈ – દક્ષિણ મુંબઈના મસ્જિદ બંદર વિસ્તારમાં આજે સાંજે એક મકાન તૂટી પડતાં એક વ્યક્તિનું મરણ નિપજ્યું છે અને બીજાં બે જણ ઘાયલ થયા છે.

એ મકાનનું તોડકામ ચાલુ હતું ત્યારે એ તૂટી પડ્યું હતું.

સૈયદ બિલ્ડિંગનું તોડકામ ચાલુ હતું ત્યારે એ તૂટી પડ્યું હતું અને મજૂરો કાટમાળ હેઠળ દબાઈ ગયા હતા. ત્રણ મજૂરને સલામત રીતે બહાર કાઢવામાં આવ્યા હતા જ્યારે અન્ય ત્રણ જણ ઘાયલ થયા હતા. ઈજાગ્રસ્તોને તાબડતોબ નજીકની જે.જે. હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. ત્યાં એક જણને મૃત લાવેલો જાહેર કરવામાં આવ્યો હતો. અન્ય બે જણની સારવાર શરૂ કરવામાં આવી હતી.

ગઈ ત્રીજી ઓગસ્ટે આ જ મકાનમાં મોટી આગ ફાટી નીકળી હતી. આ મકાનના બાંધકામમાં ઘણું લાકડું વાપરવામાં આવ્યું હતું. એટલે મહાનગરપાલિકા અને મ્હાડા સંસ્થાએ એને તોડી પાડવાનો ગયા સોમવારે આદેશ આપ્યો હતો.