નુક્કડ નાટક દ્વારા શ્રમિકોને સલામતી વિશે શિક્ષિત કરાયા

મુંબઈ: અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટના બાંધકામ સ્થળો પર કામદારોની સલામતી સુનિશ્ચિત કરવા માટે જાગૃતિ અભિયાનના ભાગરૂપે, NHSRCLએ સમગ્ર કોરિડોર સાથે 100 વિવિધ વર્ક સ્પોટ પર ‘પ્રયાસ’ નામના શેરી નાટકનું પ્રથમ સત્ર પૂર્ણ કર્યું છે. મુંબઈ બુલેટ ટ્રેન સ્ટેશનથી અમદાવાદ બુલેટ ટ્રેન સ્ટેશન સુધીના શેરી નાટકો દરમિયાન 6000થી વધુ કામદારો-શ્રમિકોને શિક્ષિત કરવામાં આવ્યા હતા.આ નુક્કડ નાટકના આયોજનનો ઉદ્દેશ્ય કામદારોને બાંધકામ સ્થળો પર સલામતીના મહત્વ વિશે આકર્ષક રીતે જાગૃત કરવાનો અને શિક્ષિત કરવાનો હતો. શેરી નાટકમાં મુખ્ય સુરક્ષા વિષયો જેમ કે સાધનોનો યોગ્ય ઉપયોગ, સલામતી માર્ગદર્શિકાઓનું પાલન, કટોકટી સમયે શું કરવું અને કામના સ્થળે સલામત વાતાવરણ જાળવવાનું મહત્વને આવરી લેવામાં આવ્યા હતા. આ સુરક્ષા કર્મીઓ દેશના વિવિધ રાજ્યો જેમ કે ઉત્તર પ્રદેશ, બિહાર, પશ્ચિમ બંગાળ, મહારાષ્ટ્ર તેમજ ગુજરાતમાંથી આવે છે. દરેકની ભાષાઓ પણ અલગ હોય છે. આથી શેરી નાટકની ભાષા સરળ અને દરેક વ્યક્તિને સમજમાં આવે તેવી રાખવામાં આવી છે.કામદારોનું ધ્યાન આકર્ષિત કરવા અને સલામતી સંદેશાઓને અસરકારક રીતે રજૂ કરવા માટે નાટકમાં કેટલાંક રમૂજી અને સંબંધિત દ્રશ્યો સામેલ કરવામાં આવ્યા છે.આ ઝુંબેશ આગામી છ મહિનાઓ સુધી ચાલુ રહેશે. જેમાં કાસ્ટિંગ યાર્ડ્સ, ટનલ શાફ્ટ, બાંધકામ હેઠળના સ્ટેશનો, ડેપો, પુલ અને વાયડક્ટને આવરી લેવામાં આવે છે.

NHSRCLના મેનેજિંગ ડિરેક્ટર વિવેક કુમાર ગુપ્તાએ જણાવ્યું કે, “અમારી બાંધકામ સાઇટ્સ દરરોજ હજારો કુશળ અને અકુશળ કામદારોના પ્રયત્નોની સાક્ષી છે. આ ઝુંબેશ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ વર્કફોર્સમાં સલામતીની મજબૂત સંસ્કૃતિ કેળવવાનું કામ કરે છે.”